રાયપુરઃ છત્તીસગઢના બીજાપુર જિલ્લામાં સુરક્ષાદળોએ નક્સલવિરોધી અભિયાનમાં રવિવારે મોટી સફળતા મેળવી હતી. ડીઆરજી, એસટીએફ અને બસ્તર ફાઇટરની સંયુક્ત ટીમને ઇન્દ્રાવતી નેશનલ પાર્ક વિસ્તારમાં હથિયારધારી નક્સલીઓની બાતમી મળી હતી. ત્યારબાદ તેમનો ઘેરાવ કરવા માટે સવારે 8 વાગ્યે ઓપરેશન શરૂ કરાયું હતું. આ દરમિયાન નક્સલીઓ તરફથી ગોળીબાર થયો હતો. બચાવમાં જવાનોએ પણ ફાયરિંગ કર્યું, જેમાં 31 નક્સલી ઠાર મરાયા છે. તમામના મૃતદેહ કબજે કરાયા છે. જો કે આ દરમિયાન એસટીએફ અને ડીઆરજીનો એક જવાન પણ શહીદ થયો હતો, જ્યારે અન્ય બે જવાન ઘાયલ થયા હતા, જેમની હાલત સ્થિર છે. અન્ય નક્સલીની તલાશી માટે નેશનલ પાર્કના ગાઢ જંગલોમાં ઓપરેશન ચલાવાયું હતું. સૂત્રોએ ઉમેર્યું કે, નક્સલીઓએ આત્મસમર્પણ કરવાના બદલે સુરક્ષા દળો સામે અંધાધૂંધ ગોળીબાર કરતાં સુરક્ષા દળો અને નક્સલીઓ વચ્ચે અથડામણ થઈ હતી. અથડામણ પછી સુરક્ષા દળોએ ઘટનાસ્થળેથી જંગી પ્રમાણમાં હથિયારો અને વિસ્ફોટકો જપ્ત કર્યાં હતાં.