એશિયન ખેલોમાં સુવર્ણચંદ્રક જીતનાર પ્રથમ: કમલજીત સંધૂ

પ્રથમ ભારતીય નારી

- ટીના દોશી Wednesday 17th July 2024 06:10 EDT
 
 

જો તમે રમતગમત જગત વિશે જાણતા હો તો તમને ખબર હશે કે સ્પ્રિંટ એટલે ટૂંકા અંતરની વેગીલી દોડ...સામાન્યપણે આ દોડસ્પર્ધા બસ્સો કે ચારસો મીટરની હોય છે. પંજાબની કમલજીત સંધૂ ૧૯૭૦માં એશિયાઈ ખેલોમાં ચારસો મીટરની ટૂંકા અંતરની વેગીલી દોડમાં એટલા વેગથી દોડી કે ૫૭.૩ સેકન્ડમાં દોડ પૂરી કરીને ભારત માટે સુવર્ણ ચંદ્રક લઇ આવી. આ સુવર્ણ ચંદ્રક જીતીને કમલજીત સંધૂએ ઈતિહાસ સર્જેલો, કારણ કે એશિયાઈ ખેલોમાં સુવર્ણ ચંદ્રક જીતનારી એ પહેલી ભારતીય મહિલા હતી !
કમલજીત સંધૂની અન્ય ઉપલબ્ધિઓ : ચારસો મીટરની દોડમાં ટ્યૂરિન, ઈટલીમાં આયોજિત વિશ્વવિદ્યાલય ખેલોમાં ફાઈનલમાં પહોંચનાર મહિલાઓમાંની એક, રાષ્ટ્રીય સ્તરે બાસ્કેટબોલ અને આંતર વિશ્વવિદ્યાલય હોકી ખેલાડી અને દેશના ચોથા સર્વોચ્ચ સન્માન પદ્મશ્રીથી પુરસ્કૃત મહિલા.
કમલજીત સંધૂનો જન્મ ૨૦ ઓગસ્ટ ૧૯૪૮ના રોજ પંજાબમાં થયેલો. સિંધિયા કન્યા વિદ્યાલયમાં ભણી. બાળપણના દિવસો વિશે કમલજીતના પોતાના શબ્દો સાંભળીએ : ‘મને એથલીટ બનવાની તક સાંપડી, એને હું મારું સૌભાગ્ય જ સમજું છું, કારણ કે એ સમયમાં મહિલાઓ માટે પરિવારની બહાર કોઈ ભૂમિકા નહોતી. મારા પિતા મોહિન્દર સિંહ મારા માટે બહુ મોટી ઢાલસમા- એક સપોર્ટ સિસ્ટમ હતા. એ પોતાના કોલેજ દિવસોમાં બહુ સારા હોકી ખેલાડી હતા...’
સિંધિયા કન્યા વિદ્યાલયમાં ભણતી વખતે કમલજીત પ્રત્યેક ખેલ પ્રતિયોગિતામાં મોખરે રહેતી. દીકરીની આ પ્રતિભા જોઈને પિતાએ ચંડીગઢની પંજાબ યુનિવર્સિટીના ફિઝિકલ એજ્યુકેશન ડિપાર્ટમેન્ટમાં કમલજીતને દાખલ કરી. એ ત્યાં પ્રત્યેક રમતમાં ભાગ લેતી. બાસ્કેટબોલ, રનિંગ અને અન્ય ખેલમાં ઉમળકાથી ભાગ લેતી.. કમલજીતના શબ્દોમાં કહીએ તો, ઘણી છોકરીઓ પહેલી જ વાર ઘરની બહાર પગ મૂકી રહેલી. એમાંની એક હું પણ હતી!
કમલજીતે ૧૯૬૭માં પોતાના કોચના કહેવાથી નેશનલ ચેમ્પિયનશિપમાં ચારસો મીટરની દોડમાં ભાગ લીધો. પણ અનુભવ અને પ્રશિક્ષણના અભાવે તે દોડ પૂરી ન કરી શકી. છતા કમલજીતની વેગીલી દોડથી ઉપસ્થિત સહુ ખૂબ પ્રભાવિત થયાં. સંધૂએ કોચ અજમેર સિંહ પાસે તાલીમ લીધી.
આ ગાળામાં, ૧૯૬૯માં નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ સ્પોર્ટ્સ-એનઆઈએસમાં એક શોર્ટ કેમ્પ માટે કમલજીતને નિમંત્રણ મળ્યું, ત્યારે એને ખબર પડી કે એશિયન ગેમ્સ માટે એના નામ પર વિચાર થઈ રહ્યો છે. કમલજીત પૂરજોશથી ખેલની તૈયારીમાં લાગી ગઈ. એક મુલાકાતમાં કમલજીત સંધૂએ કહેલું કે, ‘મને ખબર હતી કે અધિકારીઓ મને પસંદ ન કરતા.. પણ હું જીતી ગઈ ત્યારે એમણે મને શાબાશી આપવાને બદલે ફરી દોડાવી. આ બીજી વારમાં મેં પહેલી વાર કરતાં પણ ઓછા સમયમાં દોડ પૂરી કરી લીધી. અધિકારીઓ મોઢું વકાસીને જોઈ રહ્યા. હું ખેલાડી હતી. એમ હાર શેની માનું ?’
અધિકારીઓની અનિચ્છાએ પણ કમલજીતની પસંદગી બેંગકોકમાં આયોજિત છઠ્ઠા એશિયાઈ ખેલો માટે થઈ.
 ૧૪ ડિસેમ્બર ૧૯૭૦....એ દિવસે ટ્રેક પર કમલજીત સંધૂ સહુની મોખરે હતી ફિનિશ લાઈન પર કમલજીત પહેલાં પહોંચી. લોકો ચિચિયારીઓથી એનું સ્વાગત કરી રહેલા, ત્યારે કમલજીતને થયું કે, યહ તો હોના હી થા.. હું જીતવાની જ હતી.પણ પછી સમજાયું કે આ ચીસો અને નારાઓ તો ભારતને સુવર્ણ ચંદ્રક મળવા બદલ અને ભારતનું ગૌરવ વધારવા બદલ હતા !
કમલજીત ૧૯૭૩માં એથલેટિક્સમાંથી નિવૃત્ત થઈ. ૧૯૭૫માં કમલજીત સંધૂ નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ સ્પોર્ટ્સ, પતિયાળાની ઇન્ચાર્જ રહી. ત્યાર પછી ૧૯૮૨માં ભારતીય મહિલા સ્પ્રિંટ ટીમના કોચ તરીકે એશિયાઈ ખેલોમાં ભાગ લીધો. કોચ તરીકે કમલજીત સંધૂએ મહિલા ખેલાડીઓની તાલીમના સ્વરૂપમાં ધરમૂળથી ફેરફાર કર્યો..
કોચ તરીકે કમલજીતની ભૂમિકા અત્યંત મહત્વપૂર્ણ હતી. કમલજીતે દોડના ક્ષેત્રમાં પોતાને પાયાનો પથ્થર ગણતાં કહેલું, ‘પ્રથમ મહિલા આઈપીએસ બનનાર કિરણ બેદી અને હું કલાસમેટ હતાં. મને લાગે છે કે એક રીતે કહીએ તો અમે બન્ને પોતપોતાના ક્ષેત્રમાં અગ્રેસર હતાં. પાયોનિયર હતાં..!


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter