તકમરિયાંઃ નાનો પણ પોષક તત્વોથી ભરપૂર દાણો

Wednesday 04th September 2024 06:23 EDT
 
 

તકમરિયાંનો દાણો નાનો હોય છે, પણ પોષક તત્વોથી ભરપુર હોય છે. ગરમીના દિવસોમાં તેનું સેવન કરવાથી પેટને ઠંડક મળે છે, તો પાચન સંબંધી તકલીફોમાં પણ રાહત થાય છે. એક સંશોધનના અનુસાર, તકમરિયાંમાં સીમિત માત્રામાં કેલરી હોય છે. આ સાથે પ્રોટીન, કેલ્શિયમ, આયર્ન, પોટેશિયમ, વિટામિન-એ, વિટામિન-સી અને ફાઇબરનો એક ઉત્તમ સ્ત્રોત છે. તેમાં ઓમેગા-3 ફેટી એસિડ પણ સમાયેલું હોય છે. આ સઘળા પોષકતત્વોને સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે. તકમરિયાંને રાતના પાણીમાં પલાળીને સેવન કરી શકાય છે. અથવા તો એકાદ-બે કલાક પણ પાણીમાં ભીંજવી રાખવા જોઇએ. પાણીમાં પલળવાથી તકમરિયાં ફૂલી જતાં હોય છે. જેને શરબત, લીંબુ પાણી, સ્મૂદી, દૂધ તેમજ અન્ય ડ્રિન્ક સાથે ગાર્નિશ કરવામાં પણ ઉપયોગમાં લઇ શકાય છે. મિલ્ક શેક બનાવતી વખતે અથવા તો મીઠાઇમાં પણ તકમરિયાંનો ઉપયોગ કરી શકાય છે.

• પાચનક્રિયાઃ તકમરિયાંમાં પ્રર્યાપ્ત માત્રામાં ફાઇબર સમાયેલું હોય છે, જે શરીરમાં સમાયેલા એચસીએલની એસિડિક ઇફેક્ટને ન્યૂટ્રલાઇઝ કરે છે. આથી તેના સેવનથી એસિડિટી અને છાતીમાં બળતરામાં રાહત થાય છે. પેટને ઠંડક પ્રદાન કરે છે તેમજ ગરમીમાં અપચાના કારણે બળતરાને ઓછી કરે છે. પેટમાં ગેસનો ભરવો થવા પર પણ તકમરિયાંનું સેવન ફાયદાકારક છે. એક કપ દૂધ સાથે તેનું સેવન કરવાથી પેટની બળતરા, અપચો અને એસિડિટી જેવી સમસ્યાથી છુટકારો મળે છે.
• ત્વચાઃ તકમરિયાંનું સેવન કરવાથી જ નહીં, પરંતુ તેને ત્વચા પર લગાડવાથી પણ ફાયદો થાય છે. ડ્રાય સ્કીન અને સનટેનની સમસ્યામાં પણ તકમરિયાંને ત્વચા પર લગાડી શકાય છે. તકમરિયાંને મિકસરમાં પીસીને તેને કોપરેલ સાથે ભેળવી ત્વચા પર લગાડવું. સ્કીન ઇન્ફેકશન તેમજ સોરાયસિસ જેવી સમસ્યઓમાં પણ લાભકારી નીવડે છે. તેમજ તકમરિયાંનું નિયમિત સેવન કોલેજન પ્રોડકશનને વધારે છે, જે ત્વચાના નવા સેલ્સને બનાવામાં મદદ કરે છે.
• વાળઃ તકમરિયાંનું સેવન હેર ફોલિકલ્સની સમસ્યા દૂર કરવામાં પણ લાભકારક છે. તેમાં પ્રયાપ્ત માત્રામાં આયર્ન, વિટામિન-કે અને પ્રોટીન સમાયેલા હોય છે. આ સઘળાં પોષકતત્વો વાળના હેલ્ધી ગ્રો માટે બહુ જરૂરી હોય છે. તેમાં સમાયેલા એન્ટી ઓક્સિડેન્ટ તેની ગુણવત્તાને વધારે છે.
• સુગર કન્ટ્રોલઃ તકમરિયાંનું સેવન સુગર કન્ટ્રોલ કરવાનો ગુણ ધરાવે છે. ડાયાબિટીસના દર્દીઓ તેનું સેવન દૂધ સાથે કરી શકે છે. જે લોકોને ડાયાબિટીસનું નિદાન થયું છે તેમને બ્લડ સુગરના સ્તર પર ધ્યાન રાખવાની વધુ જરૂર હોય છે. તકમરિયાંમાં મધુમેહવિરોધી ગુણ હોય છે. ઘણા સંશોધનોમાં જોવા મળ્યું છે કે, ભોજન પૂર્વે તકમરિયાંનું સેવન કરવામાં આવે તો ભોજન પછી બ્લડ શુગરનું લેવલ વધતું નથી.
• કબજિયાતઃ તકમરિયાંમાં પ્રચુર માત્રામાં ફાઇબર સમાયેલું હોય છે. તેને ભરપુર પાણી સાથે લેવાથી તે મળને નરમ કરે છે. કબજિયાતથી પીડિત લોકોએ તકમરિયાંનો આહારમાં સમાવેશ કરવો જોઇએ.
• વજન નિયંત્રણઃ તકમરિયાંમાં પુષ્કળ ફાઇબર હોય છે. આમ તેના સેવનથી પેટ ભરાયેલું રહે છે, અને વારંવાર ભૂખ લાગતી નથી. વધારાની કેલરી પેટમાં જતી ન હોવાથી વજન અંકુશમાં રાખવાનું આસાન થઇ જાય છે. વળી, તકમરિયાંમાં કેલરી બહુ ઓછી હોય છે તેમજ તેમાં આલ્ફા લિનોલેનિક એસિડ પણ સમાયેલું જોવા મળે છે, જે ચરબીને બાળે છે તેમજ મેટાબોલિઝમને નિયમિત કરે છે. એક સંશોધન અનુસાર, નિયમિત રીતે લિનોલેનિક એસિડ લેવાથી વજન ઘટાડવામાં મદદ મળે છે.
• શરદી-ઊધરસઃ તકમરિયાંનું નિયમિત સેવન ઇમ્યૂનિટીને બૂસ્ટ કરવામાં મદદ કરે છે. રોગપ્રતિકારક શક્તિ મજબૂત હોય તો શરદી-ઊધરસની તકલીફ સતાવતી નથી.
• યૂરિન ટ્રેક ઇન્ફેકશનઃ ગરમીના દિવસોમાં યૂરિન ટ્રેકમાં ઇન્ફેકશન થવાનું સામાન્ય છે. આ સમયે તકમરિયાંના પાણીનું સેવન ગરમીમાં શરીરને હાઇડ્રેટ રાખે છે અને યૂરિન ટ્રેકની સમસ્યાથી બચાવે છે.
જોકે કોઇ પણ પ્રકારે તકમરિયાંનું સેવન કરતી વખતે એ બાબતની ખાસ કાળજી લેવી કે તેમાં ફાઇબરનું પ્રમાણ વધુ હોય છે. આથી તેનું સેવન કરતાં પહેલાં તમારા જીપીને અવશ્ય કન્સલ્ટ કરી લો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter