વોશિંગ્ટનઃ એક નવા અભ્યાસનું તારણ કહે છે કે બાળકોને નાની વયે મગફળી કે તેની બનાવટો પીનટ બટર, સૂપ વગેરે ખવડાવવાથી તેઓ મોટા થાય છે ત્યારે તેમનામાં એલર્જીનું જોખમ ઓછું રહે છે. પાંચ વર્ષની ઉમરથી બાળકોને મગફળીની પ્રોડક્ટ આપવાથી તેમનામાં વયસ્ક ઉમરમાં એલર્જીનો દર 71 ટકા સુધી ઘટ્યો છે. અમેરિકાની નેશનલ હેલ્થ ઈન્સ્ટિટ્યૂટ્સ (એનઆઈએચ) અને નેશનલ એલર્જી, નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ એલર્જી એન્ડ ઇન્ફેક્સીયસ ડિસીઝ (એનઆઈએઆઈડી)એ આ અભ્યાસ કરાવ્યો હતો. આ પહેલાં એક અન્ય રિસર્ચમાં અડધાં બાળકોને પાંચ વર્ષની ઉંમરથી જ દરરોજ મગફળી અને તેની પ્રોડક્ટ ખવડાવવામાં આવી હતી જ્યારે અડધાં બાળકોએ આ સમયગાળામાં મગફળીની પ્રોડક્ટ ખાધી નહોતી. સંશોધકોને અભ્યાસમાં જણાયું હતું કે મગફળી ખાનારાં બાળકોમાં મગફળીથી એલર્જીનું જોખમ 81 ટકા ઘટી ગયું હતું. મૂળ સ્ટડીમાં ભાગ લેનારા 640 લોકોમાંથી 508ને નવા સ્ટડીમાં સામેલ કરાયા હતા. તેમાંથી 255 મગફળી ખાનારા ગ્રૂપ અને 253 ન ખાનારા ગ્રૂપનો ભાગ હતા. નવા સ્ટડીના લોકોનું સરેરાશ આયુષ્ય 13 વર્ષ વધુ જણાયું હતું. મગફળી ન ખાનારા ગ્રૂપમાં 15 ટકાથી વધુ લોકોને 12 વર્ષ કે વધુ ઉમરમાં મગફળીથી એલર્જી થઈ ગઈ. મગફળી ખાનારા ગ્રૂપમાં માત્ર 4.4 ટકાને મગફળીથી એલર્જી થઈ હતી.