ઝહીરના પિતાના દુબઈ કનેક્શનને લીધે બહેનના લગ્નમાં હાજરી ટાળીઃ લવ

Sunday 14th July 2024 08:25 EDT
 
 

સોનાક્ષી સિંહાના લગ્નને પખવાડિયું વીતી ગયું છે, પણ આ લગ્ન મામલે પરિવારમાં પ્રવર્તતીની નારાજગીનો વિવાદ વધુ વકર્યો છે. સોનાક્ષીના ભાઈ લવ સિંહાએ ઝહીરના પરિવારના વ્યવસાયિક સંબંધો સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે અને ઝહીરના પિતા દુબઈ કનેક્શન્સ ધરાવતા હોવાના અહેવાલો ટાંકીને આક્ષેપ કર્યા છે. લવનું કહેવું છે કે પોતે શંકાસ્પદ ગતિવિધિઓ ધરાવતા લોકો સાથે સંકળાવા નહિ માગતો હોવાથી બહેનના લગ્નપ્રસંગે ગેરહાજર રહ્યો હતો. લવે પહેલાં આ મુદ્દે ટ્વિટ કર્યું હતું, અને બાદમાં વિવાદ વધતાં ટ્વિટ ડિલીટ કરી નાંખી હતી.
સોનાક્ષી અને ઝહીરે 23 જૂને રજિસ્ટર્ડ મેરેજ કર્યાં હતાં. તેનાં લગ્નમાં પિતા શત્રુધ્ન તથા માતા પૂનમ સિંહા હાજર રહ્યા હતા, પરંતુ બંને ભાઈ લવ અને કુશ જોવા મળ્યા નહોતા. બાદમાં કુશે સ્પષ્ટતા કરી હતી કે પોતે લગ્નમાં હાજર હતો. અલબત્ત હવે લવે એક મીડિયા અહેવાલને ટાંકીને સ્પષ્ટ કહ્યું છે કે પોતે લગ્નમાં ગેરહાજર રહ્યો હતો અને તેનું કારણ ઝહીરના પરિવારની ગતિવિધિઓ છે. પોતે અમુક શંકાસ્પદ વ્યવસાયો ધરાવતા લોકો સાથે સંકળાવા ઈચ્છતો ન હતો. તેણે ખાસ કરીને ઝહીરના પિતા ઈકબાલ રતનશી માટે ગંભીર આક્ષેપોનો ઉલ્લેખ કર્યો છે.
લવે એક મીડિયા અહેવાલને ટાંકીને જણાવ્યું હતું કે ઝહીરના પિતાના સંબંધો એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)ના કેસનો સામનો કરી રહેલા એક રાજકારણી સાથે છે. જોકે, આ રાજકારણી હવે રાજકીય વોશિંગ મશીનમાં ઉજળા બની ચૂક્યા હોવાથી તેમની સામે ઈડીની તપાસ મંદ થઈ ગઈ છે. ઝહીરના પિતાના દુબઈમાં રોકાણ વિશે પણ કોઈ કેમ બોલતું નથી. તેમને ત્યાંથી અચાનક કેમ પરત ભારત આવી જવું પડયું હતું. શું તેમાં યુએઈમાં ટોચના સ્તરે સંપર્કો ધરાવતા બોલીવૂડના એક ટોચના સુપરસ્ટારની પણ કોઈ ભૂમિકા હતી? તેવા સવાલનો પણ લવે ઉલ્લેખ કર્યો હતો. લવે આ બધી બાબતોના ઉલ્લેખ સાથે જણાવ્યું છે કે પોતે લગ્નમાં શા માટે ગેરહાજર હતો એ સ્વયંસ્પષ્ટ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter