હિંડોળા ઉત્સવઃ પ્રભુને હૈયાના હેતથી ઝુલાવવાનું પર્વ

Wednesday 24th July 2024 08:07 EDT
 
 

ભક્તિની રીત જ એવી છે કે હરિ સંગાથે લાડ કરવા, એમને જમાડવા-સુવાડવા અને એમને ઝુલાવવા. હિંડોળા ઉત્સવ પણ ભગવાનને લાડ લડાવવાનો આવો જ સોનેરી અવસર છે. અષાઢ-શ્રાવણના આગમનની આલબેલ સાથે જ હિંડોળા ઉત્સવની તૈયારી શરૂ થઇ જાય છે. ગગને મંડાયેલો મેઘ છડી પોકારતો હોય એમ શ્રાવણની પધરામણી ટાણે ગરજી ઊઠે છે. કલાપીનો કેકારવ ચોગરદમ ફરી વળે છે. કોયલના વિલંબિત ટહુકા તેમાં સાથ પુરાવે છે. વીજળીના ચમકારા આકાશમાં વેરાયા કરે છે. દેવો પણ જાણે આ પધરામણી કચકડે કેદ કરી રહ્યા ન હોય તેવું વિરલ દૃશ્ય ખડું થાય છે. આવા સમયે ભક્તોએ હિંડોળાનો ઉત્સવ રચ્યો છે.
ભગવાનનું દર્શન કરતાં પાંપણના પડદા પડે ઊઘડે ત્યારે એક નિમિષમાં હરિને ઝૂલતા જોવા તે લહાવો જેણે કરી લીધો હોય તે જાણે. ભક્ત સમજે છે કે હું હરિને ઝુલાવું છું, પરંતુ એની પાછળ રહેલો મર્મ કંઇક એવો છે કે તમે વિરાટનો હિંડોળો ફેરવો તેમાં હું સાથે છું, મને એનું ભાન થયું છે, એનો આનંદ હું લઉં છું અને ગમેતેટલા મહાન હોવા છતાં મારી ભક્તિના હિંડોળે ઝુલાવવાની ઇચ્છા કરું ત્યારે પ્રભુ તમે અવશ્ય પધારવાના છો. આથી જ ભક્તો જે હિંડોળો રચે છે તેમાં એમનું હૈયું ઠાલવે છે. એક વાર ઠાકોરજીને હિંડોળે પધરાવી - પૂજન કરી હાથમાં હિંડોળાની દોરી લઇને ઝુલાવવાનું શરૂ કરીએ ત્યારે બધા સંકલ્પ શમી જઇને મન-હૃદય પરમ તૃપ્તિ પામે છે.
પ્રભુની દિવ્ય લીલાની સ્મૃતિ
અષાઢ-શ્રાવણ માસથી વરસાદી મોસમમાં સંધ્યા સમય એટલે કે આરતીનો સમય થતાં વૈષ્ણવો મંદિરમાં જઇને રેશમની દોરી વડે હિંડોળામાં બિરાજેલા પ્રભુને હિંડોળવા અધીરા બની જાય છે, કારણ કે વરસાદી પવિત્ર વાતાવરણમાં હિંડોળાનો ભવ્ય ઉત્સવ ઊજવાય છે. અષાઢ વદ પ્રતિપદા કે બીજથી (આ વર્ષે 22 જુલાઇથી) તે શ્રાવણ વદ બીજ (આ વર્ષે 21 ઓગસ્ટ) સુધી વૈષ્ણવ મંદિરોમાં અને હવેલીઓમાં જાતજાતના અને ભાતભાતના હિંડોળા શણગારાય છે.
ભક્તો શણગારેલા હિંડોળામાં ઠાકોરજી પધરાવી સાયંકાળે આરતી બાદ હિંડોળાનાં પદો ભક્તિભાવપૂર્વક ઝીલે અને ઝિલાવે છે. દોરી પણ હીરની ને મણિમાળાની રખાય છે. એ ખેંચતાં સોના-રૂપાના કસબથી ભરપૂર મોરલા ડોલી ઊઠે છે. પોપટ નાચી રહે છે. સાધુવૃંદ મૃદંગ ને મંજીરા લઇ કીર્તનભક્તિથી વાતાવરણ દિવ્ય બનાવે છે. ઘંટડીઓ રણઝણી ઊઠે છે. જાણે વિરાટ ડોલી રહ્યું હોય ને બ્રહ્માનંદ રેલાયો હોય તેવું વાતાવરણ જામી જાય છે. ભગવાન શ્રીકૃષ્ણએ ગોપીઓને વૃંદાવનની કુંજગલીમાં હિંડોળે હીંચકાવીને જે સુખ પ્રાપ્ત કર્યું હતું તેની ચિરકાલીન યાદ રાખવા વૃંદાવનનાં ઘણાં મંદિરોમાં આ હિંડોળા ઉત્સવ ‘ઝૂલા ઉત્સવ’ તરીકે પણ ઊજવાય છે.
ગુજરાતમાં વૈષ્ણવ મંદિરોમાં પણ હિંડોળા ઉત્સવ ઊજવાય છે. વૈષ્ણવી પરંપરા મુજબ શ્રીકૃષ્ણે વૃંદાવનમાં ગોપીઓ અને રાધાજી સાથે રાસ રમીને લીલા કરી હતી તેની સ્મૃતિઓ તાજી કરવા હિંડોળામાં પ્રિયા-પ્રીતમને ઝુલાવવામાં આવે છે. વર્ષોના વહેવા સાથે હિંડોળા પર્વની ઉજવણીમાં, ભાવિકોની ભક્તિમાં વિવિધતા અને પરિવર્તન આવ્યા. ઉત્તમ ઘાટના અને નવીન રચનાઓના હિંડોળામાં પ્રભુ શોભવા લાગ્યા.
હિંડોળામાં વૈવિધ્ય
ચાંદીના હિંડોળા, શાકના હિંડોળા, પાનના હિંડોળા, પવિત્રાંના હિંડોળા, ગુલાબના હિંડોળા, ફળના હિંડોળા, કાચના હિંડોળા, નાની ઘડુલીઓના હિંડોળા, પનઘટ, પલના, શીતલ કુટીર, ફૂલબંગલા, ખસના બંગલા, મીનાકારીના બંગલા, ગિરિકંદરામાં થાય છે. દિવસો થોડા અને રૂપ ઝાઝાં એટલે સંતો, હરિભક્તો અને રસિકજનો હિંડોળાના તાણાવાણામાં દિલ વણી લે છે. હીરનો, કઠોળનો, રાખડીઓનો અને લહેરિયાના હિંડોળા, શ્રાવણ–ભાદોના હિંડોળા, જરીના હિંડોળા, નીલીપીળી ઘટા, કસુંબલ ઘટા એમ અનેક જાતના આકર્ષક હિંડોળા ભક્તો ભાવથી બનાવે છે અને ઠાકોરજીને હૈયાના હેતથી ઝુલાવે છે. અષાઢ વદ નોમથી શ્રાવણ વદ એકમ સુધી ઠાકોરજી ગિરિરાજ ઉપર હિંડોળામાં ઝૂલે છે. શ્રાવણ સુદ એકમથી શ્રાવણ સુદ આઠમ સુધી ઠાકોરજી વિવિધ કુંજોમાં હિંડોળે ઝૂલે છે. વૃક્ષની ડાળીમાં પણ ઝૂલા બંધાય છે. હિંડોળા ઉત્સવના છેલ્લા આઠ દિવસ શ્રાવણ સુદ નોમથી શ્રાવણ વદ બીજ સુધી ઠાકોરજીને યમુના કિનારે ઝુલાવાય છે. વ્રજમાં શ્રી ગોવર્ધન, કરહલા, સંકેતવન, શ્રીવૃંદાવનધામ, બરસાના, શ્રીકુંડ, કામવન, મથુરા, ગોકુલ, રાંકોરા સ્થળોએ ઠાકોરજીએ અનેક લીલાઓ કરેલી હોવાથી તે સ્મૃતિની યાદમાં જુદા જુદા હિંડોળાઓની રચના કરીને ભક્તો પ્રભુને યાદ કરે છે.
હિંડોળાના બે મુખ્ય પ્રકાર છેઃ બે ખંભનો હિંડોળો અને ચાર ખંભનો હિંડોળો. સામાન્ય રીતે મંદિરોમાં બે ખંભના જ હિંડોળા વપરાય છે. ચાર ખંભના હિંડોળા ફળ, ફૂલ, ચોકલેટ, સૂકામેવા વગેરેથી ભરવામાં આવે ત્યારે તેની ભવ્યતા ખરેખર જોવા જેવી હોય છે.
આપણે અષાઢ વદ બીજથી શ્રાવણ વદ બીજ સુધી ઠાકોરજીને હિંડોળે ઝુલાવી ઉત્સવ ઊજવીએ છીએ, પરંતુ ભગવાન પ્રગટ હોય ત્યારે ભક્તિનાં નીર તિથિની મર્યાદાને કેવી રીતે ગાંઠે? ભક્તો તો તિથિ નહીં, પણ આંગણે આવેલા અતિથિ-ભગવાનને જોઈને ઘેલા બની જાય છે ને ભાવ પ્રમાણે ભક્તિ અદા કરી લે છે. ભગવાન તે સ્વીકારી પણ લે છે.
પરસ્પરની પ્રેમભક્તિની દોરીથી ઝૂલતા આવા હિંડોળાનાં સુખ શ્રીજી મહારાજે સુરત, અમદાવાદ, સારંગપુર, મછિયાવ, માનકૂવા, ગઢડા, વડતાલ વગેરે અનેક જગ્યાએ આપ્યાં છે. રંગોત્સવ, ફૂલદોલ, જન્માષ્ટમી જેવા અનેક ઉત્સવ પ્રસંગે આપ્યા છે. પૂર્ણ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાને હિંડોળામાં બેસીને જે દિવ્ય લીલાઓ કરી જે સુખ આપ્યાં છે તેની સૌને સ્મૃતિ થાય એટલા માટે આજે પણ હિંડોળા ઉત્સવ ઊજવાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter