વિપિન પરીખ
(જન્મઃ 26-10-1930 • નિધનઃ 18-10-2010)
સામાજિક સભાનતાના કવિ. મુખ્યત્વે અછાંદસ. એમનાં કાવ્યોમાં કટાક્ષ અને કરુણાનો સમન્વય. એમની સમગ્ર કવિતા ‘મારી, તમારી, આપણી વાત.’
•••
એક અશક્ય વાત
એક દિવસ
આપણે આ શહેરને છોડી ચાલ્યા જશું.
ગામમાં આપણું એક ઘર હશે.
કૂકડાના સ્વરે ચિરાઈ જશે અંધકારનો પટ.
તેજનાં કિરણ-પગલાં મૂકશે આંગણામાં હળવેહળવે.
વાડામાં ભાંભરતી ગાયોનાં નામ હશે: નીલમણિ અને નંદિની.
તું
તુલસીના ક્યારામાં જળ સીંચી સૌભાગ્યને ઉજ્જવળ કરતી હશે સવારે.
બહાર
આપણું બાળક ગેલ કરતું હશે બિલાડીનાં કાળાંધોળાં બચ્ચાં સાથે. રાત્રે
ચંદ્ર એનું ચંદન રેલી છુપાઈ જશે વાદળપૂંઠે
અને
આંગણામાં ઊભેલો ગુલમો૨
સમીરને
આપણી વાતો કહેતાંકહેતાં લાલ થતો હશે.