વિશ્વભરમાં વસતાં ભારતીયો 26 જાન્યુઆરીના રોજ દેશના 76મા પ્રજાસત્તાક પર્વની રંગેચંગે ઉજવણી કરશે. આ પૂર્વે આવો આપણે જાણીએ દેશની રાજધાની દિલ્હીમાં કેવી રીતે ભારતનો પહેલો ગણતંત્ર દિવસ મનાવવામાં આવ્યો હતો. પ્રથમ પ્રજાસત્તાક પર્વની ઉજવણીની રસપ્રદ ઝાંખી...
તે દિવસે ગણતંત્ર દિવસની પરેડ દિલ્હીના ‘પુરાના કિલ્લા’ની સામે બ્રિટિશ સ્ટેડિયમમાં થઈ હતી. આ જગ્યાએ આજે દિલ્હીનું પ્રાણીસંગ્રહાયલ છે અને સ્ટેડિયમની જગ્યાએ નેશનલ સ્ટેડિયમ છે. દેશના પહેલા રાષ્ટ્રપતિ ડો. રાજેન્દ્ર પ્રસાદે ગણતંત્ર ભારતમાં પહેલી વખત ત્રિરંગો ફરકાવ્યો અને પરેડની શરૂઆત થઈ હતી. સૌથી પહેલાં તોપોની સલામી આપવામાં આવી હતી. તોપોની સલામી દરમિયાન પુરાના કિલ્લા’માં તેના પડઘા સંભળાયા હતા. દેશના પહેલા વડા પ્રધાન જવાહરલાલ નેહરુ પણ ત્યાં હાજર હતા, તેમની સાથે સી. રાજગોપાલાચારી પણ હતા. તેઓ છેલ્લા બ્રિટિશ વાઇસરોય લોર્ડ માઉન્ટબેટનની જગ્યાએ ગવર્નર-જનરલનું પદ સંભાળી રહ્યા હતા.
ગણતંત્ર દેશોમાં ભારત સામેલ
ગણતંત્ર દિવસનો અર્થ હતો કે ભારત પોતાની જમીન પરથી વિદેશી શાસનની અંતિમ નિશાનીઓને હટાવીને ગણતંત્ર રાષ્ટ્રોના મંડળમાં સામેલ થવા જઈ રહ્યું હતું. કિંગ જ્યોર્જ-પંચમે ભારતને શુભકામનાઓ પાઠવી હતી અને તેનો આભાર પણ વ્યક્ત કર્યો હતો કે નવો સ્વતંત્ર બની રહેલો દેશ રાષ્ટ્રમંડળ દેશોમાં સામેલ થશે. જોકે, થોડા સમય બાદ જ કિંગનું અવસાન થયું હતું. ભારતમાં આ શોક સમાચાર પર શ્રદ્ધાંજલિ સ્વરૂપે સાર્વજનિક રજાની ઘોષણા કરાઇ હતી. પહેલા ગણતંત્ર દિવસની ઉજવણી વેળા અફવાઓ ઊડી હતી કે નેતાજી સુભાષચંદ્ર બોઝ પોતાના ‘દિલ્હી ચલો’ અભિયાનને લઈને ફરી એક વખત લોકોની સામે પ્રગટ થઈ શકે છે.
રાજપથ પર નહોતી નીકળી પરેડ
1950માં યોજાયેલી ગણતંત્ર દિવસની પરેડ આજની સરખામણીએ એટલી ભવ્ય નહોતી. જોકે આમ છતાં તે આગવી ઓળખ ઉભી કરવા યોગ્ય અને ભારતવાસીઓના મનમાં યાદગાર બનવાને લાયક તો હતી જ. ભૂમિદળ, વાયુ અને જળ સેનાઓની કેટલીક ટુકડીઓએ આ પરેડમાં ભાગ લીધો હતો. જોકે તે સમયે કોઈ પ્રકારની ઝાંખીઓ (ટેબ્લો)નું પ્રદર્શન થયું ન હતું. જે પ્રકારે હાલમાં ગણતંત્ર દિવસની પરેડ રાજપથ પરથી પસાર થઈને લાલ કિલ્લા સુધી પહોંચે છે તેવું એ સમયે થતું ન હતું. તે સમયે પરેડ સ્ટેડિયમમાં જ થતી હતી. હવાઈ કરતબ કરનારાં વિમાનોમાં જેટ કે થંડરબોલ્ટ સામેલ નહોતાં, તેમની જગ્યાએ ડાકોટા અને સ્પિટફાયર જેવા નાનાં વિમાનોનો ઉપયોગ થતો હતો. જનરલ ફિલ્ડ માર્શલ કરિઅપ્પા ભારતીય સેનાના પહેલા પ્રમુખ હતા, જેમણે બ્રિટિશ-ભારતીય સેનામાં ઘણાં પદક પ્રાપ્ત કર્યાં હતાં. જવાનોની ટુકડીને તેમણે ફૌજી હિંદીમાં કહ્યું હતું, ‘આજે આપણે પણ સ્વતંત્ર છીએ, તમે પણ સ્વતંત્ર છો અને આપણી ગલીના કૂતરા પણ સ્વતંત્ર છે.’ તેમના અવાજે ત્યાં જોશનો અલગ જ માહોલ સર્જ્યો હતો.
‘ચાંદની ચોક’ની ચમક
હાજી જહુરુદ્દીન કે જેઓ વર્ષ 1901માં રાણી વિક્ટોરિયાના નિધન સમયે એક સ્કૂલના વિદ્યાર્થી હતા. પહેલા ગણતંત્ર દિવસના અવસર પર જામા મસ્જિદ વિસ્તારમાં તેમની એક હોટલ હતી. એ દિવસે તેઓ હાજી કલાંની સૌથી પ્રખ્યાત દુકાનથી મીઠાઈ ખરીદીને લાવ્યા હતા અને આખા વિસ્તારમાં વહેંચી હતી. ચાંદની ચોકમાં ‘ઘંટેવાલા હલવાઈ’ તરફથી મીઠાઈ વહેંચવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે મીઠાઈની આ દુકાન 18મી સદીના અંતમાં શાહ આલમના શાસનકાળથી ચાલે છે. પહેલા પ્રજાસત્તાક પર્વના અવસર પર ચાંદની ચોક ઘણાં રંગોથી રંગાયેલું હતું. લાલ મંદિરથી માંડીને ફતેહપુરી મસ્જિદ સુધી લોકોની ભીડ હાથોમાં ફૂલની માળાઓ અને ત્રિરંગા લઈને હાજર હતી. ફૂલબજારના દુકાનદારોએ ગુલાબની પાંખડીઓનો વરસાદ કર્યો હતો. લોકો એકબીજાને શુભકામનાઓ પાઠવી રહ્યા હતા. તેમને એ વાતનો અહેસાસ હતો કે તેઓ હવે પૂર્ણ સ્વતંત્રતા પ્રાપ્ત કરી ચૂક્યા છે. ગુરુદ્વારાઓમાં મોટા લંગર યોજાયા હતા.
સૌથી ફેશનેબલ બજાર કનોટ પ્લેસ
કનોટ પ્લેસની અસલી સુંદરતા તો એ દિવસે ખીલી હતી. આખરે તે રાજધાનીનું સૌથી ફેશનેબલ બજાર હતું. કનોટ પ્લેસની ગલીઓમાં નાચતા રામ લાલને જોઈ શકાતા હતા. રામ લાલ બ્રિટિશ સૈનિકોના પગ દબાવવાનું કામ કરતા હતા. લાલ કિલ્લા આસપાસ તહેનાત અંગ્રેજ જવાન ઘણી વખત શનિવાર અને રવિવારે તેમની પાસે પગ દબાવડાવવા આવતા હતા. રામ લાલે એ સમયને યાદ કરતાં કહે છે કે એક જવાને તેમને 100 રૂપિયાની નોટ આપી હતી. જ્યારે તેઓ બાકી બચેલા પૈસા આપવા જવાનની પાછળ દોડ્યા તો તેને લાગ્યું કે તેઓ તેમની પાસે વધારે પૈસા માગવા દોડે આવે છે. આથી જવાને તેમને બંદૂક દેખાડીને અટકાવી દીધા હતા. તે સમયે 100 રૂપિયાની નોટનું મૂલ્ય આજના 1000 રૂપિયા કરતાં પણ ઘણું વધારે હતું. ફતેહપુરીમાં વસતાં મુસ્લિમ પરિવારોએ ઘરે સ્વાદિષ્ટ વાનગી બનાવી હતી. મટિયા મહેલની ઘણી હોટલ જેમ કે કરીમ અને જવાહરે ભીખારીઓને મફત ભોજન આપ્યું હતું. વેપારીઓએ પોતાના ગ્રાહકોને ભારે છૂટ આપી હતી.
રાષ્ટ્રપતિ ભવન પર રાત્રિભોજન
આ વચ્ચે સૌથી વધારે ચર્ચા જે વાત અંગે થઈ હતી તે હતું રાષ્ટ્રપતિ ભવનમાં યોજાનારું રાત્રિભોજન. પંડિત નેહરુ દીકરી ઇંદિરા ગાંધી સાથે ત્યાં હાજર હતા. તેમની સાથે રાજેન્દ્ર પ્રસાદ, સરદાર પટેલ, મૌલાના આઝાદ, સરદાર બલદેવ સિંહ અને કપૂરથલાનાં રાજકુમારી અમૃત કૌર પણ હતાં. કશ્મીરી ગેટ વિસ્તારમાં રહેતા પંડિત રામચંદર તે સમયે 90 વર્ષના હતા. તેમણે એ દિવસને યાદ કરતાં તેઓ કહે છે કે તેમણે દિલ્હીનું આટલું ભવ્ય સ્વરૂપ ક્યારેય નથી જોયું. રાણી વિક્ટોરિયાની ગોલ્ડન જ્યુબલી સમયે પણ નહીં. સર હેનરી ગિડનીએ તે સમયે એક વાત કહી હતી, જેને નકારી શકાતી નથી. તેમણે કહ્યું હતું કે ભારત એ ધરા છે જ્યાં સભ્યતા તેની ચરમસીમાએ પહોંચી ચૂકી હતી, તે હવે ફરી એ જ સભ્યતાને પ્રાપ્ત કરવા તરફ પગલું આગળ વધારશે. અલ્લામા ઇકબાલના એ અમર શબ્દ હંમેશાં ગુંજતા રહેવા જોઈએ: ‘હિંદી હૈ હમ, વતન હૈ, હિન્દુસ્તાન હમારા!’