શિકાયત ભૂલથી પણ હું નથી કરતો...
શિકાયત ભૂલથી પણ હું નથી કરતો સિતમગરથી;
નથી હું આપતો ઉત્તર કદી પથ્થરનો પથ્થરથી.
ઉપેક્ષા પ્રેમની કરશો છતાંયે યાચના કરશું,
કિનારાઓ કદી આઘા થયા છે શું સમંદરથી?
હું એ વેધક નજરથી દિલ બચાવી એમ લાવ્યો છું,
કિનારે નાવ લાવે જેમ કો’ તોફાની સાગરથી.
જગતના સહુ તૃષાતુર દિલને જઈને એટલું કહી દો,
કોઈ તરસ્યો નહીં ફરશે અમારા સ્નેહ-સાગરથી.
પુરાણા મિત્રને તરછોડી દે છે વાતવાતોમાં,
કરે છે માનવી એવું નથી થાતું જે ઈશ્વરથી.
મુસાફર તો વિખુટા થાય છે કયારેક મંજિલથી,
એ મંજિલનું શું કહેવું જે વિખુટી થઈ મુસાફરથી.
ગરીબીમાંયે ખુદ્દારીએ બેશક લાજ રાખી છે,
છીએ દિલના તંવગર ‘રાઝ’ શી નિસ્બત તંવગરથી.