કેનેડાની મસ્જિદમાં નમાજ વખતે ગોળીબારમાં ૬નાં મોત

Wednesday 01st February 2017 06:20 EST
 
 

ક્યુબેકઃ કેનેડાના ક્યુબેક શહેરની મસ્જિદમાં એક બંદૂકધારીએ ગોળીબાર કરતાં છ વ્યક્તિનાં મોત થયા છે અને અન્ય ૮ ઘાયલ થયા છે. કેનેડિયન વડા પ્રધાન જસ્ટીન ટ્રુડોએ ૩૦મીએ થયેલા ગોળીબારને ત્રાસવાદી હુમલો ગણાવ્યો હતો. 

પોલીસના પ્રવક્તા ક્રિસ્ટીન કોલોમ્બેએ જણાવ્યું કે પોલીસ પણ આ હુમલાને ત્રાસવાદી કૃત્ય ગણે છે. આ હુમલા બાબતે બે શંકાસ્પદની અટકાયત કરવામાં આવી છે. ટ્રુડોએ એક નિવેદનમાં કહ્યું હતું કે મુસ્લિમોના ધાર્મિક સ્થળ પર થયેલા આ હુમલાની અમે નિંદા કરીએ છીએ. કેનેડિયન મુસ્લિમ દેશનો મહત્ત્વનો ભાગ છે અને આ પ્રકારના કૃત્યને અમારા સમુદાય, શહેર કે દેશમાં કોઇ સ્થાન નથી. આ ઘટનાના એક સાક્ષીએ સ્થાનિક સમાચાર ચેનલને જણાવ્યા અનુસાર માસ્ક પહેરેલા બે બંદૂકધારી ૩૦મીએ સાંજે ૭.૧૫ કલાકે મસ્જિદમાં પ્રવેશ્યા હતા. કોલોમ્બેએ કહ્યું હતું કે મૃતકો ૩૫થી ૭૦ વયજૂથના હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter