નવી દિલ્હીઃ અમેરિકામાં રહેતા શીખ અલગતાવાદી ગુરપતવંતસિંહ પન્નુની હત્યાનું કાવતરું ઘડવામાં સામેલ હોવાનાં આરોપી ભારતીય નાગરિક નિખિલ ગુપ્તાનું ચેક રિપબ્લિક દ્વારા અમેરિકાને પ્રત્યર્પણ કરાયું છે. જોકે નિખિલ ગુપ્તાએ હજી સુધી કોઈ કાઉન્સેલર એક્સેસ માંગ્યા નથી. બીજી તરફ, ભારત સરકાર એ મુદ્દે રણનિતિ ઘડી રહી છે કે જો નિખિલ ગુપ્તા કાઉન્સેલર એક્સેસ માંગે તો શું કરવું જોઇએ. સરકાર ગુપ્તાનાં પરિવાર સાથે પણ સંપર્કમાં છે. ભારતનાં વિદેશ મંત્રાલયનાં પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું હતું કે, ગુપ્તાને 14 જૂને અમેરિકાને સોંપાયા છે, પણ તેમનાં દ્વારા કાઉન્સેલર એક્સેસની માંગણી કરાઇ નથી. જોકે તેમનાં પરિવારે અમારો સંપર્ક સાધ્યો છે. તેઓ કાઉન્સેલર એક્સેસ માંગે તો શું કરવું તે અંગે વિકલ્પો વિચારાઈ રહ્યા છે. ગુપ્તાને સોમવારે મેનહટ્ટનની ડિસ્ટ્રીક્ટ કોર્ટમાં રજૂ કરાયા ત્યારે તેમણે પોતાનાં પર લગાવેલા આરોપોમાં નિર્દોષ હોવાનો દાવો કર્યો હતો. એટર્ની જનરલ મેરિક ગાર્લેન્ડે કહ્યું હતું કે અમારો દેશ પોતાના નાગરિકને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ ચલાવી લેશે નહીં.