• આવક રૂ. ૨૫૦૦ અને દંડ રૂ. ૧. ૧૧ લાખનો!ઃ ભાવનગરનો યુવાન કે જે લારી-રેસ્ટોરન્ટમાં ડિશો સાફ કરવાનું કામ કરી મહિને માંડ રૂ. ૨૫૦૦ કમાય છે ત્યાં તેની જ્ઞાતિના આગેવાનોએ તેને રૂ. ૧,૧૧,૦૦૦નો કારમો દંડ ફટકાર્યો છે. અને તે પણ આ યુવાનની પત્નીએ આપઘાત કર્યો છે એટલે!. લાખવડ વિસ્તારમાં રહેતા યુવાનનાં લગ્ન દસ વર્ષ પહેલાં થયાં હતાં. દંપતીને એઇડ્ઝની બીમારી અને આર્થિક સંકડામણના કારણે પત્નીએ ૧૫ દિવસ પહેલા સળગી જઈને આપઘાત કરી લેતા જ્ઞાતિના આગેવાનોએ અને સાસરિયા પક્ષના લોકોએ ભેગા મળીને ધર્માદાની રકમ રૂ. ૧,૧૧,૦૦૦ નક્કી કરી હતી. જે પૈકી રૂ. ૫૫,૦૦૦ સાસરિયા પક્ષને બનાસકાંઠા જિલ્લામાં આપવામાં આવી છે, જ્યારે બાકીના રૂ. ૫૬ હજાર અહીં જ્ઞાતિના આગેવાનો પાસે છે. યુવાને આ રકમ જમા કરાવવા પાંચ ટકાના દરે દેવું કર્યું છે.
• સોહરાબ કેસમાં વણઝારાને સાત વર્ષે જામીન પણ...ઃ સોહરાબુદ્દીન અને તુલસી પ્રજાપતિ બનાવટી એન્કાઉન્ટર કેસમાં મુંબઈની જેલમાં રહેલા ગુજરાતના નિવૃત્ત થયેલા સસ્પેન્ડેડ ડીઆઈજી ડી.જી. વણઝારાને સાત વર્ષ બાદ જામીન મળ્યા છે. મુંબઈ હાઈકોર્ટે વણઝારાને રૂ. બે લાખના બોન્ડ અને પાસપોર્ટ જમા કરાવવાની શરતે જામીન આપ્યા છે. ઉપરાંત તેમણે દર સોમવાર, બુધવાર અને શુક્રવારે ટ્રાયલ કોર્ટમાં હાજરી આપવી પડશે. જોકે, તેમની સામે ઈશરત જહાં બનાવટી એન્કાઉન્ટરનો કેસ ચાલી રહ્યો હોવાથી જામીન મળવા છતાં વણઝારા જેલમાંથી મુક્ત થઈ શકશે નહીં. જોકે, તેમને હવે મુંબઈની જેલમાંથી અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલમાં ટ્રાન્સફર કર્યા છે.