નવી દિલ્હીઃ ગુજરાતમાં મહાત્મા ગાંધીની થીમ પર હેરિટેજ સર્કિટ અને રાજસ્થાન તથા હરિયાણામાં ક્રિષ્ના (કે કૃષ્ણ) સર્કિટ માટે સરકારે ૨૭૫ કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સને મંજૂરી આપી દીધી છે. સ્વદેશ દર્શન યોજના અંતર્ગત આ સર્કિટ તૈયાર થશે.
પ્રવાસન મંત્રાલયે ગુજરાતમાં મહાત્મા ગાંધીની થીમ આધારિત હેરિટેજ સર્કિટ માટે ૮૦ કરોડ રૂપિયા મંજૂર કર્યાં છે. ગુજરાતમાં ગાંધી થીમ આધારિત સર્કિટ અંતર્ગત અમદાવાદ, રાજકોટ, પોરબંદર, બારડોલી અને દાંડીને આવરી લેવાશે. પ્રવાસન સચિવ વિનોદ ઝુત્શીના વડપણ હેઠળ ૧૯મી જુલાઈએ યોજાયેલી બેઠકમાં આ પ્રોજેક્ટ્સને મંજૂરી અપાઈ હતી. બેઠકમાં ગુજરાત, રાજસ્થાન, હરિયાણા સરકારના વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યા હતા. મંત્રાલયે હરિયાણા અને રાજસ્થાનમાં ક્રિશ્ના સર્કિટ માટે ૧૯૫ કરોડ રૂપિયાની કિંમતના પ્રોજેક્ટ્સને મંજૂરી આપી દીધી છે.