નવી દિલ્હીઃ બેન્કોમાંથી કરોડોની લોન લઈને તેની રકમ પરત કર્યા વિના જ વિદેશમાં ભાગી ગયેલા ૨૮ ભાગેડુ આર્થિક ગુનેગારોને ભારતમાં પાછા લાવવા સરકારે ગંભીર પ્રયાસો શરૂ કર્યાં છે. કિંગફિશર એરલાઇન્સના માલિક અને શરાબના ઉત્પાદક વિજય માલ્યાને બ્રિટનમાંથી ભારત લાવવાનો કેસ ભારત સરકાર જીતી ગઈ છે. તાજેતરમાં વીવીઆઈપી ઓગસ્ટા વેસ્ટલેન્ડ હેલિકોપ્ટર કૌભાંડના વચેટિયા ક્રિશ્ચિયન મિશેલને ભારત લાવવામાં સરકારને સફળતા મળી છે. સરકારે ૧૬ દેશોમાંથી ભાગેડુઓને પકડીને તેમનાં પ્રત્યર્પણ માટે યુકે, યુએઈ, અમેરિકા, બેલ્જિયમ, એન્ટિગુઆ તેમજ ઇજિપ્તને અરજી કરી છે.
૧૯મીએ સંસદમાં મોદી સરકારે આ અંગેની માહિતી આપી હતી. તેમાં જણાવાયું કે, સરકારની નજર હાલમાં વિજય માલ્યા, નીરવ મોદી, મેહુલ ચોકસી, નીતિન અને ચેતન સાંડેસરા તેમજ લલિત મોદી પર છે. ગુઇડો હાશ્કે અને કાર્લો ગોરેસા જેવા ૫૮ ભાગેડુઓને ભારત લાવવા તજવીજ કરાશે. આમાંથી કેટલાક સામે ઇન્ટરપોલ દ્વારા રેડકોર્નર નોટિસ બજાવવામાં આવી છે.