લંડનઃ વડા પ્રધાન થેરેસા મે નવેમ્બર મહિના આરંભમાં ભારતની મુલાકાત લે તેવી શક્યતા છે. વડા પ્રધાન તરીકે તેમની પ્રથમ ભારત મુલાકાતના એજેન્ડામાં વેપાર અને વાણિજ્ય બાબતોને પ્રાધાન્ય અપાશે. તેઓ ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને અન્ય સિનિયર પ્રધાનો સાથે દ્વિપક્ષી મંત્રણાઓ યોજશે તેમ પણ મનાય છે.
નવી દિલ્હીમાં નવેમ્બર ૭ અને ૯ વચ્ચે યોજાનારા ઇન્ડિયા-યુકે ટેક સમિટની સાથે જ એમની મુલાકાત પણ યોજાય તેમ મનાય છે. આ સમિટનું આયોજન ભારતના વિજ્ઞાન અને ટેકનોલોજી ડિપાર્ટમેન્ટ તેમજ કોન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રીઝ (CII) દ્વારા કરવામાં આવ્યું છે. જેમાં યુકેના યુનિવર્સિટીસ સાયન્સ રીસર્ચ એન્ડ ઈનોવેશન વિભાગના મિનિસ્ટર જો જ્હોનસન મુખ્ય વકતા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નવેમ્બર ૨૦૧૫માં યુકેની મુલાકાત લીધી ત્યારે કરેલી મહત્ત્વની જાહેરાતોમાં આ દ્વિપક્ષીય સમિટનો પણ સમાવેશ થયો હતો.
૬૦ વર્ષીય વડાપ્રધાન મેએ ઇયુની બહાર યુકેના સંબંધોને ઉત્તેજન આપવા ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ માટેના ચાવીરૂપ દેશો તરીકે ભારતનો ઉલ્લેખ અવારનવાર કર્યો છે. તેમાં પણ બ્રેક્ઝિટ પછીના સમયગાળામાં આ મુદ્દે ઉલ્લેખ કન્ઝર્વેટિવ પાર્ટીના અધિવેશનમાં પણ કરવામાં આવ્યો હતો.