લંડન: ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઇ)ના વિદાય લઇ રહેલા ગવર્નર રઘુરામ રાજનનાં મંતવ્યોને ક્યારેક સરકાર માટે ગંભીર કે સમસ્યારૂપ તરીકે જોવામાં આવે છે, પરંતુ રાજનને પોતાને એવું લાગે છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિશે તેઓ જે કંઇ કહેશે તો તેનાથી સમસ્યા સર્જાશે. આઇએમએફના ભૂતપૂર્વ અર્થશાસ્ત્રી રાજને રાજકારણમાં જોડાવાનો પણ ઇનકાર કર્યો છે.
બીબીસીને આપેલા એક ઇન્ટરવ્યૂમાં નરેન્દ્ર મોદી વિશે પૂછવામાં આવેલા એક પ્રશ્નનો જવાબ આપવાનું તેમણે ટાળ્યું હતું અને જણાવ્યું કે હું પ્રશ્ન પાસ કરવા માગું છું. મોદી વિશેના પ્રશ્નનો હું જે કંઇ જવાબ આપીશ તો તેનાથી સમસ્યા સર્જાશે. રિઝર્વ બેંકના ગવર્નર તરીકે ત્રણ વર્ષ પોતાની સેવાઓ આપ્યા પછી ચોથી સપ્ટેમ્બરે તેમની ટર્મ પૂરી થયા પછી રાજન શિક્ષણ ક્ષેત્રે પાછા ફરવાના છે. રિઝર્વ બેંકના ગવર્નર તરીકેના તેમના કાર્યકાળમાં વિભિન્ન મુદ્દાઓ અંગે તેમણે કરેલી ટિપ્પણીઓથી ઘણા વિવાદો સર્જાયા છે.