નવી દિલ્હીઃ તૃણમૂલ કોંગ્રેસના વડા મમતા બેનરજીએ ૨૩મી નવેમ્બરે દિલ્હીમાં જંતર મંતરથી નોટબંધી મુદ્દે રેલી કાઢી હતી. આ ઉપરાંત કેટલાક સાથીઓ સાથે તેમણે ધરણા કરીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. બેનરજીએ મોદી સરકાર પર આકરા પ્રહારો કરતાં કહ્યું કે, સરકાર સત્તામાં આવી ત્યારે સ્વિસ બેન્કોના ખાતાઓને નિશાન બનાવવાની વાત કરી હતી. હવે તેમણે દેશના જ સામાન્ય અને ગરીબ લોકોના જ ખાતાઓને નિશાન બનાવ્યા છે. મજૂરોને કામ અને મજૂરી નથી મળી રહ્યા હું તેમનો અવાજ બનીશ. લોકોને રોજી નથી મળી રહી, ઉદ્યોગોમાં કામ કરતા રોજમદારોને કામ અને પૈસા નથી મળી રહ્યા. લોકોને બે ટંક ખાવાની પણ મુશ્કેલી પડી રહી છે. કાળાનાણા વિદેશોમાંથી પાછા લાવવાનું કહીને ભાજપ સરકારે દેશની પ્રજાને જ પરેશાન કરવાનું શરૂ કર્યું છે. ભાજપને આગામી ચૂંટણીમાં જનતા પરાજયના રૂપે જવાબ આપશે. હું તો કહું છું કે અત્યારે જ ચૂંટણી કરાવો તાકાત હોય તો મોદી ચૂંટણીમાં જીત મેળવે.