નવી દિલ્હી: કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ વધતી મોંઘવારી મુદ્દે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર ૨૮મી જુલાઈએ સંસદમાં શાબ્દિક પ્રહારો કર્યા હતા. મોદી સરકાર મોંઘવારી પર અંકુશ રાખવામાં નિષ્ફળ રહી હોવાનું જણાવતાં રાહુલે લોકસભામાં મોદીને સવાલ કર્યો હતો કે, ‘મોદીજી, તમે સ્ટાર્ટ-અપ, સ્ટેન્ડ અપ જે શરૂ કરવું હોય તે કરો, જેટલાં ઠાલાં વચનો આપવા હોય તેટલાં આપો પણ ગૃહને એક તારીખ આપો કે ક્યારે દાળના ભાવ ઘટી જશે? ટામેટાના ભાવ ઘટી જશે?’ ગત લોકસભાની ચૂંટણી વખતે બહુ ગાજેલા ‘હર હર મોદી, ઘર ઘર મોદી' નારાનો આડકતરો ઉલ્લેખ કરીને રાહુલે કટાક્ષ કર્યો કે, આજે ગામેગામ એક જ નારો ચાલી રહ્યો છે. તે નારો છે, અરહર (તુવેર) મોદી, અરહર મોદી.’