મૈનપુરીઃ ઉત્તર પ્રદેશના મૈનપુરી જિલ્લામાં એક ઘટનામાં ૧૫ રૂપિયા જેવી નજીવી રકમ માટે એક દલિત દંપતીની કુહાડીના ઘા ઝીંકીને હત્યા કરી દેવામાં આવી હતી. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે અહીંના કુર્રા પોલીસ સ્ટેશન વિસ્તારમાં લખીમપુર ગામમાં અશોક નામની વ્યક્તિએ સવારના સમયે ખેતરમાં અનાજ વાવવા જઈ રહેલા ભારત નટ અને તેની પત્ની મમતા પાસે જંતુનાશક દવા ખરીદવા ૧૫ રૂપિયા માગ્યા હતા, જે ન આપતા બંને પક્ષે બોલાચાલી થઈ હતી.
વાત વધી જતા ઉશ્કેરાઈ ગયેલા અશોકે કુહાડીથી ભારત નટ અને મમતા પર ઘા માર્યા હતા અને તેમની હત્યા કરી નાખી હતી. પોલીસે અશોકની ધરપકડ કરી છે. આ વિસ્તારમાં મોટી સંખ્યામાં પોલીસકર્મીઓને તૈનાત કરી દેવાયા છે.