નવી દિલ્હીઃ રિઝર્વ બેન્કનાં વિદાય લઈ રહેલા ગવર્નર રઘુરામ રાજનનાં સ્થાને ઊર્જિત પટેલે મંગળવારથી કાર્યભાર સંભાળી લીધો છે. અત્યાર સુધી ઊર્જિત પટેલ આરબીઆઈમાં ડેપ્યુટી ગવર્નર હતા. ઊર્જિત પટેલની ગણના રઘુરામ રાજનની જેમ એક બાહોશ અર્થશાસ્ત્રી તરીકે થાય છે. તેઓ વિશ્વમાં અનેક નાણાસંસ્થાઓ સાથે કામ કરવાનો બહોળો અનુભવ પણ ધરાવે છે. પટેલની સામે દેશનાં અર્થતંત્રની ગાડી પાટા પર ચડાવવાનાં અનેક પડકારો છે. તેઓ વ્યાજ દરો અંગે તેમજ મોંઘવારી અને ફુગાવો અંકુશમાં રાખવા કેવા પગલાં લે છે તેનાં પર સૌની નજર મંડાયેલી છે.
પટેલે દેશમાં વ્યાજ દરો પર નિયંત્રણ રાખવાનું છે. આમ તો વ્યાજ દર વધારવા કે ઘટાડવા તે છ સભ્યોની સમિતિ નક્કી કરે છે. આમ છતાં વ્યાજ દરો વધે કે ઘટે ત્યારે ગવર્નર પર માછલાં ધોવાતાં હોય છે. પટેલે મોંઘવારી અને ફુગાવાને અંકુશમાં રાખવાનો છે.