ગુવાહાટીઃ ભાજપ નેતા સુબ્રમણ્યમ સ્વામીના નિવેદનથી નવો વિવાદ ઊભો થયો છે. તેમણે જણાવ્યું છે કે, ‘મસ્જિદ અને ચર્ચ માત્ર પૂજા કરવા માટે બનાવાયેલી ઇમારત છે. આથી તેને ક્યારેય પણ તોડી શકાય છે. માત્ર મંદિર જ તે જગ્યા છે, જ્યાં ભગવાન રહે છે.’ સ્વામીના જણાવ્યા મુજબ, ‘સાઉદી અરબમાં પણ મસ્જિદો તોડવામાં આવે છે.’ આ મુદ્દે કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકરે જણાવ્યું હતું કે, ‘આ પાર્ટીનો મત નથી. સ્વામીએ જો આમ કહ્યું હોય તો તે તેમનો અંગત મત હોઈ શકે છે.’ સ્વામીના નિવેદનનો વિરોધ કરતા રાજ્યના અનેક સંગઠનોએ ભાજપ નેતાનું પૂતળું સળગાવ્યું હતું. અસમ વકફ બોર્ડ, ઓલ અસમ માઇનોરિટી સ્ટુડન્ટ યુનિયન અને અન્ય મુસ્લિમ સંગઠનોએ સ્વામીની વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરવાની માગ કરી છે.
સ્વામીએ પોતાના નિવેદનની તરફેણમાં સાઉદી અરબનું એક ઉહાહરણ રજૂ કર્યું છે, જ્યાં રસ્તો બનાવવા માટે અનેક મસ્જિદોને તોડી પાડવામાં આવી છે. તેમણે જણાવ્યું હતું કે, મસ્જિદ કોઈ ધાર્મિક સ્થળ હોતું નથી. આ માત્ર એક બિલ્ડિંગ હોય છે. તેને ક્યારેય પણ તોડી શકાય છે. જો કોઈ વ્યક્તિ મારા અભિપ્રાય સાતે સંમત ન હોય તો હું તેની સાથે ચર્ચા કરવા માટે તૈયાર છું.