નવી દિલ્હીઃ મહાસત્તા ચીનની હિંદ મહાસાગરમાં વધી રહેલી ઘૂસણખોરીને ધ્યાનમાં રાખીને ભારતે દરિયાઇ સીમાડા પર નજર રાખવા માટે ચાર જાસૂસી વિમાન ખરીદવા બોઇંગ કંપની સાથે કરાર કર્યો છે. હિંદ મહાસાગરમાં ચીનને ઘૂસણખોરી કરતું અટકાવવા માટે આ વિમાન તૈનાત કરવામાં આવશે. ભારત સરકારે બોઈંગ કંપની સાથે કરેલા આ સોદાનું મૂલ્ય ૬૭૦૦ કરોડ રૂપિયા છે.
એક અહેવાલમાં સંરક્ષણ મંત્રાલયના બે ઉચ્ચ અધિકારીઓ અને ઉદ્યોગને ટાંકીને જણાવાયું છે કે હિંદ મહાસાગરમાં ચાઇનીઝ સબમરીનની અવરજવર પર નજર રાખવા માટે ભારતે અગાઉથી જ લાંબા અંતરના પી-૮-આઇ એરક્રાફ્ટ તૈનાત કર્યા છે. નામ ન આપવાની શરતે સંરક્ષણ મંત્રાલયના અધિકારીએ જણાવ્યું હતું કે નવા ચાર વિમાનનો ઓર્ડર આપવામાં આવ્યો છે. અન્ય એક અધિકારીના જણાવ્યા મુજબ આગામી ત્રણ વર્ષમાં આ એરક્રાફ્ટને સેનામાં દાખલ કરવામાં આવશે.
ભારતમાં બોઇંગના સંરક્ષણ, સ્પેસ અને સુરક્ષા બાબતોના પ્રવક્તા અમૃતા ઢિંડસાએ જણાવ્યું હતું કે તેઓ હાલમાં આ કરાર અંગે કંઇ પણ જણાવી શકે તેમ નથી. આ કરારની તમામ વિગતો ભારતીય સંરક્ષણ મંત્રાલય જ આપી શકે તેમ છે.
જોકે તેમણે જણાવ્યું હતું કે પી-૮૧ લાંબા અંતરની જાસૂસી કરવા માટે સજ્જ હોવા ઉપરાંત હાર્પૂન મિસાઇલથી જ સુસજ્જ છે. ઉલ્લેખનીય છે કે જ્યારથી ચીને સમુદ્ર વિસ્તારોમાં પોતાનો પગપેસારો વધાર્યો છે ત્યારથી ભારતે પણ પોતાની નેવલ સર્વેલન્સ ક્ષમતામાં વધારો કરી રહ્યું છે.