નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર દ્વારા નોટબંધી લાગુ કરવામાં આવી ત્યારથી અત્યાર સુધીમાં સૌથી વધારે ૨૧,૦૦૦ કરોડ રૂપિયા જનધન ખાતાઓમાં જમા કરાવવામાં આવ્યા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે દેશના ઘણા જનધન ખાતાઓમાં મોટી રકમો જમા થઈ છે. જનધન ખાતામાં એકાએક મોટી રકમો આવવાને કારણે સરકારે તેના પર આઈટીની વોચ ગોઠવી દીધી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે પશ્ચિમ બંગાળ અને કર્ણાટકમાં સૌથી વધુ રકમ જનધન ખાતાઓમાં જમા કરાઈ છે. સરકારે નોટબંધી જાહેર કરી તે સમયે જ ચેતવણી આપી હતી કે, જનધન ખાતાઓમાં વધારે રકમ જમા ન થાય તે અંગે બેન્કોએ તકેદારી રાખવી જોઈએ. સરકારે આવા ખાતા માટે ચેતવણી આપી હતી કે, મહિલાઓ અને રોજમદારોના ખાતામાં જો રૂ. ૫૦,૦૦૦ કરતાં વધારે રકમ જમા થઈ તો તેમની સામે આઈટી એક્ટ હેઠળ તપાસ કરવામાં આવશે અને દોષિત જણાશે તો પગલાં પણ લેવાશે. ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડના ૩૫,૦૦૦થી વધુ જનધન ખાતાઓમાં કરોડો રૂપિયાની રકમ જમા થઈ છે. આઠ નવેમ્બર બાદ આ ખાતાઓમાં મોટા ટ્રાન્ઝેક્શન થયા છે.