નવી દિલ્હી: ભારતીય હવાઇદળના વડા એર ચીફ માર્શલ અરૂપ રાહાએ જણાવ્યું છે કે ભારતે જો ઉચ્ચ નૈતિક આદર્શ અપનાવવાના બદલે લશ્કરી ઉકેલ શોધ્યો હોત તો આજે પાકિસ્તાનના કબજા હેઠળનું કાશ્મીર (પીઓકે) ભારતનો હિસ્સો હોત. તેમણે ૧૯૭૧ સુધી ભારતીય હવાઇદળનો પૂરી તાકાત સાથે ઉપયોગ કરાયો હોવાનો અફસોસ પણ વ્યક્ત કરતા જણાવ્યું કે ૧૯૬૨ અને ૧૯૬૫માં આપણે રાજકીય કારણોસર હવાઇદળનો પૂરો ઉપયોગ નહોતો કર્યો.
રાહાએ તેમની નિવૃત્તિના ત્રણ મહિના અગાઉ એક સેમિનારમાં અગાઉની સરકારોની વિદેશ નીતિનો ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે પીઓકે આપણા શરીરમાં કાંટાની જેમ ખૂંચી રહ્યું છે. તેનું કારણ છે કે વિદેશ નીતિની બાબતમાં આપણે ઉચ્ચ આદર્શો અપનાવ્યા છે. સુરક્ષા જરૂરિયાતોની દૃષ્ટિએ આપણે ક્યારેય વ્યવહારુ વલણ નથી અપનાવ્યું. આપણે હદ સુધી પહોંચી ગયા કે સંજોગો સાનુકૂળ બનાવવા આપણે સૈન્યની તાકાતને નજરઅંદાજ કરી.
તેમણે ઉમેર્યું હતું કે, ૧૯૪૭માં જમ્મુ-કાશ્મીર પર હુમલા વખતે ભારતીય હવાઇદળના વિમાનોએ ભારતીય સૈનિકોને મદદ કરી હતી. લશ્કરી સમાધાનથી રસ્તો નીકળી રહ્યો હતો ત્યાં આપણે ઉચ્ચ નૈતિક આદર્શનો માર્ગ પસંદ કર્યો. સમસ્યાના શાંતિપૂર્ણ ઉકેલ માટે સંયુક્ત રાષ્ટ્ર સમક્ષ પહોંચી ગયા, પણ સમસ્યા આજેય યથાવત છે.