મુંબઈ/દિલ્હી: અમેરિકી જેલમાં બંધ આતંકવાદી ડેવિડ હેડલીએ તેની પર ચાલી રહેલી કાર્યવાહી દરમિયાન વીડિયો કોન્ફરન્સ દ્વારા મુંબઈની અદાલતમાં એવું નિવેદન આપ્યું હતું કે, ઇશરત જહાં લશ્કર-એ-તૈયબાની આત્મઘાતી હુમલાખોર હતી અને તેને વડા પ્રધાન નરેન્દ્ર મોદીની હત્યા કરવા મોકલાઈ હતી. એ પછી હવે દેશની ટોચની તપાસ એજન્સીઓમાંની એક એનઆઇએ એવા અહેવાલ આપ્યા છે કે, અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમે પણ નરેન્દ્ર મોદીને ખતમ કરવા માટે યોજના બનાવી હતી. નેશનલ એજન્સીએ બહાર પાડ્યું છે કે, દાઉદના નિશાન પર ભાજપ-સંઘના ટોચના નેતાઓ, ધાર્મિક આગેવાનો અને કેટલાંક ચર્ચ હતાં.
યાકુબ મેમણની હત્યાનો બદલો
મુંબઈ સિરિયલ બ્લાસ્ટના આરોપી યાકુબ મેમણ માટે દેશમાં ઘણાં લોકો સહાનુભૂતિ ધરાવે છે. દાઉદે પણ યાકુબ મેમણને અપાયેલી ફાંસીનો બદલો લેવા ગુજરાતના બે નેતાઓની હત્યા કરાવી હતી. તેવું એનઆઈની તપાસમાં જાણવા મળ્યું છે.
મોદીએ સરકાર રચી ત્યારે યોજના ઘડાઈ હતી
એક મીડિયા રિપોર્ટમાં આ ચાર્જશીટનો હવાલો આપીને જણાવાયું હતું કે, નરેન્દ્ર મોદી વર્ષ ૨૦૧૪માં સત્તામાં આવ્યા હતા ત્યારે જ દાઉદે તેમની વિરુદ્ધ કાવતરું રચ્યું હતું. દાઉદ આરએસએસના નેતાઓ અને ચર્ચ પર હુમલા કરી દેશમાં ધાર્મિક તણાવ ઊભો કરવા માગતો હતો. પાકિસ્તાનમાં બેઠેલા દાઉદના વિશ્વાસુ જાવેદ ચિકના અને સાઉથ આફ્રિકામાં રહેતો જાહિદ મિયાં ઉર્ફે જાઓં આ યોજનાને અંજામ આપવાના હતા.