નવી દિલ્હીઃ ભારતના પ્રથમ વડા પ્રધાન પંડિત જવાહરલાલ નેહરુ સાથે સંબંધિત વિકિપીડિયા પેજ અંગે વિવાદ પેદા થયો છે. તેમાં નેહરુના દાદાને મુસ્લિમ ગણાવાયા છે, જેઓ અંગ્રેજોથી બચવા માટે ધર્માંતરણ કરીને હિન્દુ બની ગયા હતા. તે બાદ કોંગ્રેસે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પાસે આ મુદ્દે જવાબ માગ્યો છે. કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સૂરજેવાલે આરોપ લગાવ્યો હતો કે કેન્દ્રની મોદી સરકારે વિકિપીડિયા પેજમાં સંશોધન કરીને નેહરુને મુસ્લિમ તરીકે દર્શાવાયા છે.
પેટાચૂંટણીમાં જયલલિતાનો જંગી વિજયઃ બિનહિસાબી સંપત્તિના કેસમાં કોર્ટમાંથી મુક્ત થયા બાદ ચૂંટણી મેદાનમાં ઉતરેલા અન્નાદ્રમુક પક્ષનાં વડાં જે. જયલલિતાએ પોતાના તમામ હરીફોની ડિપોઝિટ ડૂલ કરાવી છે. સીપીએમના મહેન્દ્રન સહિત કોઈ પણ હરીફ પોતાની ડિપોઝીટ પણ બચાવી શક્યા નહોતા. આર.કે.નગર વિધાનસભા બેઠકની પેટાચૂંટણી તેઓ ૧.૫ લાખ મતથી જીત્યા હતા. પાંચ રાજ્યોમાં યોજાયેલી છ વિધાનસભા બેઠકોની પેટા ચૂંટણીઓમાં સત્તાધારી પક્ષોની જીત થઈ છે. જયલલિતાની જીત સામે કોઈને શંકા નહોતી. કર્ણાટક હાઈ કોર્ટે મુક્ત કર્યા બાદ તેમણે મુખ્યપ્રધાન પદ સંભાળ્યું હતું.