જમ્મુઃ કાશ્મીરના પૂંચ જિલ્લામાં સુરક્ષા દળોના ચાલી રહેલા ઓપરેશનમાં ૧૨મીએ વધુ એક આતંકવાદીનું મોત થતાં કુલ ચાર આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા છે. આ સાથે જ પૂંચમાં 'ઓપરેશન તલાશ' પૂર્ણ થઇ ગયું છે. ૧૧મીએ આ ઓપરેશનમાં ત્રણ આતંકીઓનું એન્કાઉન્ટર કરાયું હતું. દરમિયાન ૧૨મીએ બકરી ઇદ હોવા છતાં કાશ્મીરમાં સળંગ ૬૬મા દિવસે પણ જનજીવન ઠપ રહ્યું હતું. સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તાના જણાવ્યા અનુસાર ૧૨મીએ વધુ એક આતંકવાદીને ઠાર મારવામાં આવતા ૧૧મીથી અત્યાર સુધીમાં કુલ ચાર આતંકવાદીઓનાં મોત થયા છે. ઉલ્લેખનીય છે કે ૧૨મીએ વહેલી સવારે પૂંચમાં મિનિ સેક્રેટેરિયેટ નજીક એક અન્ડર કન્સ્ટ્રકશન મકાનમાં આતંકવાદીઓ છુપાયા હતાં. આ મકાન ભારતીય લશ્કરના ૯૩ બ્રિગેડ હેડકર્વાટરની નજીક આવેલું છે.