નવી દિલ્હીઃ સંસદીય સમિતિએ ગેરમાર્ગે દોરતી ભ્રામક અને છેતરામણી જાહેરખબરોમાં કામ કરનારા સેલિબ્રિટીઝને રૂ. ૫૦ લાખનો દંડ અને પાંચ વર્ષ સુધીની સજાની જોગવાઈ કરવાની ભલામણ ૨૬ એપ્રિલે કરી હતી. આ મુદ્દે સ્ટેન્ડિંગ સમિતિએ સંસદમાં અહેવાલ સુપરત કર્યો હતો, જેને જોઈને જાહેરખબરો કરતી મોટી કંપનીઓ અને સેલિબ્રિટીઝના હોશકોશ ઉડી જાય એમ છે.
તેલુગુ દેશમ્ પાર્ટીના સાંસદ જે. સી. દિવાકર રેડ્ડીની અધ્યક્ષતા ધરાવતી આ સમિતિએ ગ્રાહકોની સુરક્ષા માટે કાયદા-કાનૂનમાં ધરખમ સુધારા કરવાની વિનંતી કરી છે. આ અહેવાલમાં કહેવાયું છે કે, ખાદ્ય ઉત્પાદનોમાં થતી ભેળસેળને રોકવા માટે આપણે આકરા કાયદા-કાનૂન બનાવવાની જરૂર છે. મોટા ભાગના ખાદ્યાન્નોમાં દવાઓ, કીટાણુનાશકો અને રાસાયણિક ખાતરોના ઉપયોગના કારણે પહેલેથી જ જોખમી તત્ત્વો ભળી જાય છે. ખાદ્ય પદાર્થોમાં આવી રીતે આવતા ઝેરી પદાર્થોને પર પણ હવે કાબૂ રાખવો જરૂરી છે.