મધ્ય પ્રદેશના નાણા પ્રધાન જયંત માલવિયા અને તેમના પત્ની સુધા માલવિયા જબલપુર-નિઝામુદ્દીન એક્સપ્રેસ ટ્રેનમાં દિલ્હી જતા હતા ત્યારે તેઓ મથુરા નજીક લૂંટાયા હતા. આ અંગે રેલવેએ તપાસનો હુકમ કરીને જવાબદાર ત્રણ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કર્યા છે.
ચાલુ ટ્રેને ચપ્પાની અણીએ આ દંપતી પાસેથી સોનાની ચેન, રિંગ અને કેટલીક રોકડ રકમ લૂંટી લેવામાં આવી હતી. આ દંપતી દામોહથી દિલ્હી જવા એ.સી. કોચમાં બેઠું હતું.
સુધા માલવિયાના જણાવ્યા મુજબ વહેલી સવારે ચાર વાગે અમારા કૂપેના દ્વાર પર ટકોરા પડયા હતા. મેં બારણું ખોલતા જ એક જણ છરી સાથે ધસી આવ્યો હતો. તેની સાથે અન્ય ચાર લૂંટારા પણ અમારા કૂપેમાં પ્રવેશ્યા હતા.
તેમણે હથિયારની અણીએ મારું પર્સ, ચેન અને એક વિંટી ખેંચી લીધા હતા. એક વિંટી નિકળતી ન હતી તો મારી આંગળી કાપીને કાઢી લેવાની ચર્ચા કરતા હતા. મારા પતિના પર્સમાંથી પણ તેમણે પૈસા કાઢી લીધા હતા. તેમણે બાજુના કૂપેને લૂટ્યા હોવાનું કહ્યું હતું. સાંકળ ખેંચીને ટ્રેન ઊભી રાખતા, આર.પી.એફ.ના ત્રણે જવાનો આવ્યા ત્યાં સુધીમાં લૂટારા ગાયબ થઇ ગયા હતા.