મહાડઃ મુંબઈ - ગોવા હાઈવે પર આવેલો મહાડ - પોલાદપુર વચ્ચે રાયગઢ જિલ્લાની સાવિત્રી નદી પરનો બ્રિટિશકાલીન જૂનો પુલ બીજી ઓગસ્ટે રાત્રે તૂટી ગયો હતો. નદીના પુરમાં બે એસટી બસ સહિત ૧૭ વાહનો અને કુલ ૪૬ લોકો તણાઈ ગયા હોવાનો અંદાજ છે. દાસગાવ નજીક બે મૃતદેહ મળ્યા હોવાની માહિતી સ્થાનિક વિધાનસભ્ય ભરત ગોરવલેએ આપી હતી. બે પુરુષોના મૃતદેહ મળ્યા હોવાની વાતને જિલ્લાધિકારી શીતલ ઉગલેએ પુષ્ટિ આપી હતી. અંધારાના કારણે વાહનો નદીમાં ખાબકતાં ગયાં હતાં. રાજાપુર - બોરીવલી અને જયગઢ - મુંબઈ એમ બે એસટી બસમાંના ૨૨ પ્રવાસીઓ તથા અન્ય વાહનોમાં સવાર મુસાફરો ડૂબી ગયા હોવાની આશંકા છે. તણાઈ ગયેલા લોકોમાં બે ડ્રાઈવર અને બે કંડકટરનો પણ સમાવેશ છે. રાજાપુર - બોરીવલી બસના ડ્રાઈવર જે એસ મુંડે અને કંડકટર પી બી શિર્કે તથા જયગઢ - મુંબઈ બસના ડ્રાઈવર એસ એસ કાંબળે અને કંડકટર વી દેસાઈનો પણ સંપર્ક થતો નથી એવી માહિતી પરિવહન પ્રધાન ચંદ્રકાંત પાટીલે આપી છે.