દહેરાદૂન:મેગી નૂડલ્સની ગુણવત્તાના ધોરણો સામેનાં કથિત પ્રશ્ર્નો સામેની તપાસનો વ્યાપ વિસ્તારતા સરકારે જણાવ્યું હતું કે, તમામ રાજ્યોમાં તેનાં નમૂનાની ચકાસણી કરાશે અને જો કાનૂનનો ભંગ થયો હશે તો નેસ્લેની આ જાણીતી બ્રાન્ડના એમ્બેસેડર સહિતના સામે આકરાં પગલાં લેવાશે. ઉલ્લેખનીય છે કે અમિતાભ બચ્ચન, માધુરી દીક્ષિત અને પ્રીટિ ઝિંટા જેવા ફિલ્મકારો મેગીના બ્રાન્ડ એમ્બેસેડર છે. આ ત્રણેય સામે કાનૂની પગલાંની સરકારે ચેતવણી એમ કહીને આપી છે કે, જો નૂડલ્સની જાહેરખબર ગેરમાર્ગે દોરનારી જણાશે તો તેમની સામે પગલાં લેવાશે. દરમિયાન, અમિતાભ બચ્ચન અને માધુરી દીક્ષિત તથા નેસ્લે સામે અહીંની જિલ્લા અદાલતમાં સુધીર કુમાર ઓઝા નામના વકીલે ફોજદારી કેસ નોંધાયો છે.
આ પરીક્ષણો કેન્દ્રીય અન્ન સલામતી નિયમનકાર ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા કરાઇ રહ્યાં છે અને તેના અહેવાલો ટૂંક સમયમાં આવશે. તાજેતરમાં ઉત્તર પ્રદેશના ફૂડ સેફ્ટી એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશને મેગીના સેમ્પલ ટેસ્ટ કર્યા બાદ એમાં મોનોસોડિયમ ગ્લુકોનેટ અને સીસાનું પ્રમાણ મર્યાદા કરતાં વધારે હોવાનું જણાયું હતું. તપાસ બાદ વિભાગે નેસ્લે ઇન્ડિયાને ફેબ્રુઆરી ૨૦૧૪માં ઉત્પાદિત મેગી નૂડલ્સના બેચને બજારમાંથી પાછો ખેંચવાનો આદેશ આપ્યો હતો.