શ્રીનગરઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી ૧૭ જુલાઇએ જમ્મુ-કાશ્મીરની મુલાકાતે હતા ત્યારે શ્રીનગરમાં પાકિસ્તાન અને આઈએસઆઈએસના ઝંડા ફરકાવાયા હતા. અંદાજે ૭૦ અલગતાવાદીઓએ જામા મસ્જિદની છત પર ચડી ભારતના ધ્વજ પણ સળગાવ્યા હતા. કાશ્મીરમાં ભાજપ-પીડીપીની મિશ્ર સરકાર આવા દેશદ્રોહીઓની ધરપકડ કરી નહોતી. ગત વર્ષે લોકસભાની ચૂંટણી વખતે પાકિસ્તાનને પાઠ ભણાવવાની વાતો કરનાર ભાજપ સરકારના ઇરાદા ઠંડા પડી ગયા હોવાનું કેટલાક લોકો માની રહ્યા છે. કાશ્મીર અંગે મોદી સરકાર ગમે તે વિચારે પણ પાકિસ્તાનના વડા પ્રધાન નવાઝ શરીફ કાશ્મીર મુદ્દે આગળ વધી રહ્યા છે. કાશ્મીર બોર્ડર પર પાકિસ્તાન દ્વારા ફાયરિંગમાં ભારતીય સૈનિકો અને રહીશો શહીદ થઈ રહ્યાં છે ત્યારે મોદી સરકાર શાંતિની માળા જપીને શરણાગતિ સ્વીકારી રહી હોય તેવું સ્થાનિકો માને છે. વારંવાર પાકિસ્તાન દ્વારા વાતાવરણ ડહોળવામાં આવે છે, પરંતુ મોદી સરકારને પાકિસ્તાનની કૂટનીતિ સામે નમવું પડે છે.