મુંબઈઃ વર્ષ ૨૦૦૬ના ઔરંગાબાદ હથિયાર કેસમાં દોષી ઠેરવવામાં આવેલા ૨૬/૧૧ હુમલાના મુખ્ય કાવતરાખોર અબુ જુંદાલ સહિત સાત જણાને વિશેષ મકોકા કોર્ટે બીજી ઓગસ્ટે મૃત્યુ સુધી જેલવાસની સજા ફટકારી છે. આ ઉપરાંત અન્ય બે દોષીઓને ૧૪ વર્ષની જન્મટીપની અને ત્રણ દોષીઓને આઠ વર્ષની સજા કોર્ટે ફટકારી હતી. જોકે જે ત્રણ જણાને આઠ વર્ષની સજા થઈ છે તેઓ પહેલાં જ દસ વર્ષની સજા ભોગવી ચૂક્યા હોવાથી તેમનો હવે છૂટકારો થશે.
ઉલ્લેખનીય છે કે ૨૮ તારીખે સ્પેશિયલ મકોકા કોર્ટે લશ્કરે તૈયબાના ઓપરેટિવ અબુ જુંદાલ અને અન્ય ૧૧ જણને ૨૦૦૬ના ઔરંગાબાદ હથિયાર કેસમાં દોષી ઠરાવતાં જણાવ્યું હતું કે તમામ પુરાવાઓ પરથી એ સાબિત થાય છે કે, આ વિસ્ફોટકો અને રાઇફલોનો ઉપયોગ આતંકીઓ ગુજરાતના તત્કાલીન મુખ્ય પ્રધાન અને હાલના વડા પ્રધાનનરેન્દ્ર મોદી અને વિશ્વ હિન્દુ પરિષદ (વીએચપી)ના નેતા પ્રવીણ તોગડિયાની હત્યા માટે કરવાના હતા.