નવી દિલ્હીઃ ભારતની ત્રિદિવસીય મુલાકાતે આવેલા ચીનના વિદેશ પ્રધાન વાંગ યી ૧૩મી ઓગસ્ટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા તથા ભારતના વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજ સાથે મંત્રણા કરી હતી. ન્યુક્લિયર સપ્લાયર્સ ગ્રૂપના સભ્યપદ માટે ભારતના પ્રયાસ તથા અન્ય પ્રાદેશિક તેમ જ દ્વિપક્ષી મુદ્દાઓ અંગે વાંગ અને સુષ્મા વચ્ચે ચર્ચા થઈ હોવાનું માનવામાં આવે છે.
બન્નેએ વાર્ષિક બ્રિક્સ શિખર સંમેલન સંબંધી મુદ્રાઓ અંગે પણ ચર્ચા કરી હતી. બ્રિક્સ શિખર સંમેલન ઓક્ટોબરમાં ગોવામાં યોજાનાર છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા વિકાસ સ્વરૂપે ટ્વિટ કર્યું હતું કે પરસ્પર મહત્ત્વના મુદ્દાઓ અંગે ચર્ચા થઈ હતી. તેમણે વાંગ અને સુષ્માની મુલાકાતની એક તસવીર પણ પોસ્ટ કરી હતી. ભારતના ત્રણ દિવસના પ્રવાસે આવેલા વાંગ ૧૨મીએ ગોવા ગયા હતા જ્યાં તેમણે રાજ્યના મુખ્ય પ્રધાન લક્ષ્મીકાંત પરસેકરની મુલાકાત લીધી હતી ૧૨મી ઓગસ્ટે વાંગ યીએ ગોવામાં જણાવ્યું હતું કે ભારત દક્ષિણ ચીની સાગર મુદ્દે ચીનને સમર્થન આપવા માગે છે કે નહીં તે અંગેનો નિર્ણય ભારતે પોતે કરવાનો છે.