નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી તેમના પરિવાર સાથે ખૂબ જ ઓછા સંપર્કમાં રહે છે તેવું પરિવારમાંથી બહાર આવ્યું છે.
પ્રહલાદ મોદીએ પોતાના મોટાભાઈ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથેના અંગત સંબંધો અંગે જણાવ્યું હતું કે, હું નમસ્કાર કરવા પણ વડા પ્રધાન નિવાસસ્થાન ૭ રેસકોર્સ નથી જતો.’ જોકે તેમણે એમ જણાવ્યું હતું કે મારી અને નરેન્દ્ર મોદીની વચ્ચે સારા સંબંધો છે, આ મામલે તેમણે ખુશી વ્યક્ત કરી હતી. પ્રહલાદ મોદીને આશા છે કે કેન્દ્રની મોદી સરકાર રેશનિંગ જાહેર વિતરણ પદ્ધતિ મામલે દુકાનદારોને પડતી મુશ્કેલીનું સમાધાન શોધી કાઢશે. ઉલ્લેખનીય છે કે આ મુદ્દે તેઓ મોદી સરકાર સામે વિરોધપ્રદર્શન કરી રહ્યા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીથી બે વર્ષ નાના પ્રહલાદ મોદી દિલ્હીમાં ઓલ ઇન્ડિયા ફેરપ્રાઇઝ શોપ ડીલર્સ ફેડરેશન દ્વારા યોજાયેલા વિરોધપ્રદર્શનમાં ભાગ લેવા ૨૦ માર્ચના રોજ દિલ્હી આવ્યા હતા, તેઓ આ સંગઠનના ઉપપ્રમુખ છે. તેમણે જણાવ્યું હતું કે, ‘હું દિલ્હીમાં રેશનિંગ દુકાનદારોને યોગ્ય ભાવ મળી રહે છે તે માટે અવાજ ઉઠાવવા આવ્યો છું, જોકે અહીં આવ્યો છતાં પીએમના સરકારી આવાસ પર નમસ્કાર કરવા નથી જતો, હું ફોન પર પણ તેમની સાથે વાતચીત નથી કરતો. આમ છતાં અમારા સંબંધો સારા છે.’