જેસલમેરઃ રાજસ્થાન પોલીસ દ્વારા જેસલમેરના સરહદ પરના વિસ્તારમાંથી એક શકમંદ પાકિસ્તાની જાસૂસને ૧૯મી ઓગસ્ટે પકડવામાં આવ્યો છે. એડિશનલ ડીજી-ઇન્ટેલિજન્સ યુ. આર. સાહુએ જણાવ્યું હતું કે આ શકમંદ જાસૂસનું નામ નંદલાલ મહારાજ દર્શાવવામાં આવ્યું છે. તેની પાસેથી પાકિસ્તાની પાસપોર્ટ અને વિઝા મળી આવ્યા છે.
જે પ્રતિબંધિત સ્થળેથી જાસૂસની ધરપકડ કરાઈ છે તે વિસ્તારમાં આવવાના વિઝા તેની પાસે નથી. આ વિસ્તારમાં પ્રવેશવા તેની પાસે સત્તાવાર ભલામણપત્ર પણ નહોતો. તેણે ભારતમાં ૩૫ કિલો આરડીએકસ ઘુસાડવાની કબૂલાત કરી હતી, તે પ્રતિબંધિત વિસ્તારોમાંથી કેટલીક માહિતી એકઠી કરી રહ્યો હોવાનું જાણવા મળ્યું હતું. વધુ પૂછપરછ માટે તેને જેસલમેરથી જયપુર લાવવામાં આવ્યો છે. બોર્ડર પર તેને મદદ કરનાર લોકોની શોધ ચલાવાઈ રહી છે. તેણે મોબાઈલ દ્વારા પાકિસ્તાનમાં કોનો કોનો સંપર્ક સાધ્યો છે અને કોને માહિતી પહોંચાડી છે તેની તપાસ કરવામાં આવી રહી છે.
નંદલાલે કહ્યું હતું કે, ભારતમાં ૩૫ કિલો આરડીએક્સ ઘુસાડવામાં તે સામેલ હતો. રોની ગત માહિતીને આધારે તેને પકડવામાં આવ્યો હતો. તેની પાસેથી મોબાઈલ ફોન અને કેટલાક દસ્તાવેજો મળી આવ્યા છે. પાકિસ્તાને વિઝા દ્વારા હિંદુ જાસૂસને ભારત મોકલ્યો હોય તેવી આ પહેલી ઘટના છે. તે છ મહિનાથી જેસલમેરમાં હતો પાકિસ્તાનમાં તે કપડાનો શો-રૂમ ધરાવતો હોવાનું જાણવા મળે છે. તેની પાસેથી સ્થાનિક સંપર્કોની માહિતી મેળવવામાં આવી રહી છે.