નવી દિલ્હીઃ લોકસભાના ભૂતપૂર્વ સ્પીકર અને સાંસદ પી. એ. સંગમાનું આજે હાર્ટ એટેકથી નિધન થયું છે. તેઓ ૬૮ વર્ષના હતાં. નેશનલ પીપલ્સ પાર્ટી (એનપીપી)ના નેતા અને લોકસભાના ભૂતપૂર્વ સ્પીકર પી. એ. સંગમાના નિધનના કારણે લોકસભાની કાર્યવાહી આજના દિવસ માટે સ્થગિત કરી દેવામાં આવી હતી. સ્પીકર સુમિત્રા મહાજને સંગમાના નિધનની સદનમાં જાણકારી આપી હતી. તેમણે કહ્યું હતું કે લોકસભાના પૂર્વ સ્પીકર સંગમાનું નિધન થયું છે. સંગમાના નિધનના કારણે આજે સંસદની કાર્યવાહી સ્થગિત કરવામાં આવી અને હવે મંગળવારે સદનમાં બેઠક યોજાશે. લોકસભામાં આજે સંગમાને શ્રદ્ધાંજલિ પણ આપવામાં આવી.
પી. એ. સંગમા ૧૯૯૬થી ૧૯૯૮ સુધી લોકસભાના અધ્યક્ષ રહ્યા હતાં. તેઓ મેઘાલયના પણ મુખ્ય પ્રધાન રહી ચૂક્યા હતા. સંગમા આઠ વાર લોકસભામાં સાંસદ રહી ચૂક્યા હતાં. ૧૯૮૮થી ૧૯૯૦ સુધી મેઘાલયના મુખ્ય પ્રધાન રહ્યા હતાં. સંગમાનો જન્મ મેઘાલયના વેસ્ટ ગારોમાં પહેલી સપ્ટેમ્બર ૧૯૪૭ના રોજ થયો હતો. વર્ષ ૧૯૭૭માં પહેલી વાર લોકસભાની ચૂંટણી લડ્યા અને જીત્યા.
એક સમયે કોંગ્રેસના દિગ્ગજ નેતા સંગમાએ બાદમાં કોંગ્રેસ છોડીને પોતાની અલગ પાર્ટી બનાવી હતી. સંગમાએ સોનિયા ગાંધીના વિદેશી મૂળનો મુદ્દો ઉઠાવ્યો હતો તથા તેમને વડા પ્રધાન બનાવવા સામે વિરોધ વ્યક્ત કર્યો હતો.