ચેન્નઈઃ તામિલનાડુનાં વિવાદાસ્પદ કુડનકુલમ અણુ પ્લાન્ટનું આખરે ૧૦મી ઓગસ્ટે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું જોકે પ્લાન્ટનાં ૧ યુનિટને જ ચાલુ કરવામાં આવ્યું હતું. રશિયાનાં પ્રમુખ પુતિન, ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને તામિલનાડુનાં મુખ્ય પ્રધાન જયલલિતાએ વીડિયો કોન્ફરન્સિંગથી આ પ્લાન્ટને ખુલ્લો મૂક્યો હતો. પ્લાન્ટનો ઘણા લાંબા સમયથી વિરોધ કરવામાં આવતો હતો. વિરોધી દેખાવો, હિંસા, અકસ્માતો અને વારંવાર રિએક્ટર્સ બંધ પડવાની ઘટનાઓ તેમજ સુરક્ષાનાં મુદે ઉઠેલા સવાલો વચ્ચે આ અણુ પાવર પ્લાન્ટને શરૂ કરવામાં આવ્યો છે.
રશિયા ભારત વચ્ચે ભૂતકાળમાં થયેલા કરાર
કુડનકુલમ પ્લાન્ટ માટે રશિયા અને ભારત વચ્ચે ૧૯૮૮માં કરાર કરાયા હતા. આ વખતે સ્થાનિક લોકોનાં વિરોધ વચ્ચે આવી બે દરખાસ્તો ફગાવાઈ હતી. સરકારી સ્કૂલનાં શિક્ષક અને એન્ટી ન્યુક્લિયર પાવર પ્રોજેક્ટનાં જનરલ કન્વીનર એન. સુબ્રમણ્યમનાં વડપણ હેઠળ ભારે વિરોધ પછી ૧૯૯૧માં પેરિનગમ ખાતે પ્રોજેક્ટને હાથ ધરી શકાયો નહીં. તે પછી ૨૦૧૧માં ભૂથાથનકેટ્ટુનાં લોકોએ પણ વિરોધ કર્યો હતો.