આગ્રાઃ વિશ્વની અજાયબીઓમાં જેનો સમાવેશ થાય છે તે આગ્રામાં આવેલા તાજમહેલમાં જમીનની અંદર બનેલી કબર અને ભોંયરાવાળો રૂમ કાળો પડી રહ્યો છે. બહારથી તાજની સફેદી જાળવી રાખવા માટે મડપેક ટ્રીટમેન્ટ કરાઈ રહી છે, પરંતુ તેની અસલી કબરની હાલત ખૂબ જ ખરાબ છે. શાહજહાંના ઉર્સ દરમિયાન જ્યારે ભોંયરાને ખોલવામાં આવ્યું ત્યારે આ હકીકત સામે આવી હતી.
તાજમહેલમાં પ્રવાસીઓને જોવા માટે જે કબર મૂકવામાં આવી છે તે વાસ્તવમાં અસલી કબર નથી. અસલી કબર ભોંયરાની અંદર આવેલી છે. ભોંયરામાં આવેલી કબરોનો રંગ પીળો પડી ગયો છે અને તેના ઘણા બધાં હિસ્સા કાળા પડી ગયા છે. ખૂબ જ વધુ ભેજને કારણે દીવાલ પર લાગેલો આરસપહાણ પણ ખરબચડો થઈ ગયો છે અને તેના કેટલાક ભાગમાં ગાબડા પડીને તે ખરવા લાગ્યા છે. દીવાલની સરખામણીએ ભોંયરાની છતની હાલત વધુ ખરાબ છે. એક તારણ મુજબ આખું વર્ષ આ કબર બંધ રહેથી આરસપહાણની દીવાલો પણ કાળી પડી રહી હોવાનું શક્ય છે.