લખનઉઃ ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ પોતાનાં નુકસાન અને ફાયદાને જોતાં પક્ષપલટાનું કામ ચાલી રહ્યું છે. ઉત્તર પ્રદેશમાં વિવિધ પક્ષોના છ વિધાનસભ્યો ૧૧મી ઓગસ્ટે ભાજપમાં જોડાયા હતા. તેમાં કોંગ્રેસના બસ્તીના વિધાનસભ્ય સંજય જયસ્વાલ, બહરાઇકના સભ્ય માધુરી વર્મા અને કુશીનગરના વિધાનસભ્ય વિજય દુબે તેમજ બસપાના લખીમપુરના વિધાનસભ્ય બાલાપ્રસાદ અવસ્થી, ગોરખપુરના વિધાનસભ્ય રાજેશ ત્રિપાઠીનો સમાવેશ થાય છે. સમાજવાદી પાર્ટી છોડીને આંબેડકરનગરના શેરબહાદુર પણ ભાજપમાં જોડાયેલા છે. આ છ વિધાનસભ્યો રાજ્યસભાની ચૂંટણી વખતે ક્રોસ વોટિંગ કરી ચૂક્યા છે, તે બદલ સંબંધિત પક્ષો તેમને બળવાખોર માનીને તેમની વિરુદ્ધ કાર્યવાહી કરી ચૂક્યા છે. અન્ય પક્ષો છોડીને ભાજપમાં જોડાનારા છ વિધાનસભ્યો પૈકી ત્રણ બ્રાહ્મણ છે. ભાજપની નજર આ વખતે રાજ્યના સવર્ણ મતો પર ટકેલી છે.