મુંબઈઃ એર ઇન્ડિયામાં એર હોસ્ટેસ તરીકે કારકિર્દીની શરૂઆત કર્યા બાદ મનોરંજન જગતમાં અને બિઝનેસવુમન તરીકે વિખ્યાત પરમેશ્વર ગોદરેજનું ૧૧મી ઓક્ટોબરે રાત્રે બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં ૭૦ વર્ષની વયે અવસાન થયું હતું. ઉદ્યોગપતિ અદી ગોદરેજનાં પત્ની પરમેશ્વર છેલ્લા થોડા સમયથી ફેફસાંની બીમારીથી પીડાતાં હતાં. પરમેશ્વરે ૧૯૭૫માં ફિરોઝ ખાનના આગ્રહને વશ થઇને તેમની ફિલ્મ ‘ધર્માત્મા’ માટે હેમા માલિનીના કોસ્ચ્યુમ ડિઝાઇન કર્યાં હતાં. ૨૦૦૦ની સાલમાં તેમણે નિર્દેશક શેખર કપૂર સાથે મળી ફિલ્મ ‘ધ પરફેક્ટ મર્ડર’નું સહનિર્માણ કર્યું હતું. પરમેશ્વર ગોદરેજ સખાવતી વર્તુળોમાં પણ જાણીતા હતા. તેમણે એઇડ્સ સામે લડત આપવા ક્લિન્ટન ગ્લોબલ ઇનિશિયેટિવ સંસ્થા અને બિલ ગેટ્સ તથા મલિન્ડા ગેટ્સ સાથે હાથ મિલાવ્યા હતા. તેમણે ૨૦૦૪માં હીરોઝ પ્રોજેક્ટ લોન્ચ કર્યો હતો. એર ઇન્ડિયામાં જોડાનારા પ્રથમ એર હોસ્ટેસિસની બેચમાંના એક પરમેશ્વરે ૧૯૬૫માં અદી ગોદરેજ સાથે લગ્ન કર્યાં હતાં. તેમનાં પરિવારમાં ત્રણ સંતાનોનો સમાવેશ થાય છે.
ટ્વિટર પર શ્રદ્ધાંજલિ
ઇમરાન ખાન: પરમેશ્વર ગોદરેજનું અવસાન થયું હોવાનું જાણી ભાંગી પડયો છું.
મિલિન્દ દેવરા: પરિવારને મારી દિલસોજી. તેમને પરિવારની સૌથી મજબૂત વ્યકિત પરમેશ્વરની ગેરહાજરી સાલશે.
પંકજા ગોપીનાથ મુંડે: પરમેશ્વર બધાને આનંદિત રાખનાર સાચે જ મોટી હસ્તી.
અનુપમ ખેર: તેમણે ગ્લેમર અને ફેશનને નવું પરિમાણ આપ્યું હતું. તેમણે મોટા સખાવતી કાર્ય કર્યાં હતાં. તેમની મોટી ખોટ સાલશે.