નાગપુરઃ મહારાષ્ટ્રમાં આવેલા નાગપુરથી માત્ર ૪૦ કિમી દૂર આવેલા ૪૦૦ લોકોના એક નાના ગામમાં આઝાદી પછી ૬૯ વર્ષે રાજ્ય પરિવહનની બસ પહોંચી છે. અધિકૃત સૂત્રોએ કહ્યું હતું કે, મહારાષ્ટ્ર રાજ્ય માર્ગ પરિવહન નિગમ (એમએસઆરટીસી)એ જિલ્લાના ખૈરી સીતા ગામ સુધી સેવા શરૂ કરી છે જેના દ્વારા આ ગામ સરકારી બસ સાથે જોડાઈ શક્યું છે. ગામવાસીઓએ નગારા વગાડીને, બસ સામે નાચીને તથા એકબીજા પર રંગ લગાવીને આ સેવાનું સ્વાગત કર્યું હતું. ધો. ૧૦ની ૨૦ વિદ્યાર્થિનીઓ સહિત લગભગ ૪૦ બાળકોને અભ્યાસ માટે દરરોજ નજીકના અદેગાંવ સુધી ચાલીને જવું પડતું હતું. અદેગાંવ બાયપાસ રોડ સુધી કોઈ વાહનનો સંપર્ક નહોતો.
અમરાવતી ડિવિઝનના ડેપ્યુટી કમિશનર ભીમરાવ ખંડાતે એમએસઆરટીસીના વાઈસ ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર રણજીત દેઓલ સમક્ષ આ મુદ્દો મૂકતાં વિસ્તારમાં બસસેવા શરૂ કરવાનો નિર્ણય લેવાયો હતો.