ભારતીય સંસ્કૃતિમાં સેવાને શ્રદ્ધા - આસ્થા અને ઉપાસનાથી પણ ઊંચું સ્થાનઃ નરેન્દ્ર મોદી

Tuesday 10th December 2024 10:32 EST
 
 

અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કાર્યકર સુવર્ણ મહોત્સવને વર્ચ્યુઅલ સંબોધન કરતાં કહ્યું હતું કે ભારતીય સંસ્કૃતિમાં જનસેવાને જ સૌથી મોટો ધર્મ માનવામાં આવ્યો છે. સેવાને શ્રદ્ધા, આસ્થા અને ઉપાસનાથી પણ ઊંચુ સ્થાન અપાયું છે કેમ કે કોઇ પણ માનવીની સેવા કરવાથી વ્યક્તિમાં એક પરિવર્તન આવે છે અને ત્યાંથી આધ્યાત્મિક યાત્રાને દિશા મળે છે.
વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાયેલા બીએપીએસ કાર્યકર સુવર્ણ મહોત્સવને વર્ચ્યુઅલ માધ્યમથી સંબોધન કરતાં વડાપ્રધાને ઉમેર્યું હતું કે, હજારો, લાખો કાર્યકરો સંગઠિત, સંસ્થાકીય, આંદોલનના રૂપમાં સેવાકાર્ય કરે છે તેના પરિણામો અદ્‌ભૂત હોય છે. તેમાં સમાજ અને દેશની સમસ્યાઓના ઉકેલનું સામર્થ્ય રહેલું છે. સમાન ઉદ્દેશ સાથે જોડાયેલા લોકો એક થાય છે ત્યારે તે સમાજ અને દેશ માટે તાકાત બને છે.
ગુરુહરિ મહંત સ્વામીના ચરણોમાં નમન કરી મોદીએ ભવ્ય સમારોહમાં પોતે પ્રત્યક્ષ ઉપસ્થિત ન રહી શક્યા તેનો અફસોસ વ્યક્ત કરતાં કહ્યું કે, ભગવાન સ્વામિનારાયણની શિક્ષા અને પ્રમુખસ્વામીના સંકલ્પો પૂજ્ય મહંત સ્વામીના શ્રમ - સમર્પણથી ફલિત થઇ રહ્યા છે. મહોત્સવના થીમની પ્રસંશા કરતાં મોદીએ કહ્યું કે, બીજ, વૃક્ષ અને ફળની થીમ સાથે રજૂ થયેલા સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભલે પ્રત્યક્ષ આવી શક્યો નથી, પણ આયોજનની ઊર્જાને અનુભવી શકું છું.
તેમણે કહ્યું કે કાર્યકર મહોત્સવ એ સેવાના 50 વર્ષની યાત્રાનો મહત્ત્વનો પડાવ છે, 50 વર્ષ પહેલાં એ કાર્યકરોનું રજિસ્ટ્રેશન કરવાનું કોઇ વિચારી શકતુ ન હતું, ત્યારે પ્રમુખસ્વામી મહારાજે આ કાર્ય શરૂ કર્યું હતું. આજે લાખો કાર્યકરો પૂરી શ્રદ્ધા અને સમર્પણથી સેવા કાર્યોમાં જોડાયા છે. આ કોઇ પણ સંસ્થા માટે બહુ મોટી ઉપલબ્ધિ છે.
‘કાર્યકર સુવર્ણ મહોત્સવ ભગવાન સ્વામિનારાયણના માનવતાવાદી ઉપદેશોની ઉજવણી છે,’ તેમ કહી વડાપ્રધાને ઉમેર્યું હતું કે, દાયકાઓની સેવાનું ગૌરવ છે, જેણે લાખો લોકોના જીવનની કાયાપલટ કરી છે. બીએપીએસના સેવાકીય કાર્યોને નજીકથી જોવાનો, જોડાવાનો મોકો મળ્યો છે તેની યાદ તાજી કરતાં તેમણે પ્રમુખસ્વામી મહારાજ સાથેના સંબંધોને જીવનનું અભિન્ન અંગ ગણાવ્યા હતા.
અડધી રાત્રે પણ મદદ માટે તૈયાર
કચ્છના ભૂકંપમાં સેવાકાર્યો હોય કે કેરળની પૂર હોનારત, ઉત્તરાખંડની આપત્તિ હોય કે અન્ય આપત્તિના સમયે સંસ્થાએ કરેલા કાર્યોની પ્રસંશા કરી હતી. વડાપ્રધાને જાહેરમાં સંસ્થા અને કાર્યકરોનો આભાર માનતાં કહ્યું કે, યુક્રેન યુદ્ધ વેળાએ ભારતીયો પોલેન્ડ જઇ રહ્યા હતા, એમને મદદ પહોંચાડવા અડધી રાતે બીએપીએસના સંત સાથે વાત કરી અને સમગ્ર યુરોપમાંથી તેમણે કાર્યકરોને ભારતીયોની મદદ માટે મોકલ્યા હતા તેની વિગતો આપતાં કહ્યું કે, ‘યુદ્ધના માહોલમાં પોલેન્ડ પહોંચેલા ભારતીયોને મદદ કરી વિશ્વસ્તરે માનવતાના હિતમાં બીએપીએસનું યોગદાન પ્રસંશનીય છે.’
બાળપણથી જ BAPS સાથે નાતો
​​​​​​​બીએપીએસ કાર્યકરોની કામગીરીને એક દોહાથી બિરદાવતા વડાપ્રધાને કહ્યું હતુંઃ નદીયાં ન પીયે કદી અપના જલ, વૃક્ષ ન ખાયે કદી અપના ફલ, અપને તન કા મન કા ધન દુજો કો દે જો દાન હૈ, વો હૈ સચ્ચા ઇન્સાન... ઇસ ધરતી ભગવાન હૈ. મારું સૌભાગ્ય રહ્યું છે કે, બાળપણથી જ બીએપીએસ, સ્વામિનરાયણ ભગવાનના કાર્યો સાથે જોડાવા અવસર મળ્યો છે. મહાન કાર્યમાં જોડાવાનો, પ્રમુખસ્વામી મહારાજનો સ્નેહ, પ્રેમ મારા જીવનની પૂંજી છે, તેમ તેમણે ઉમેર્યું હતું. આજે આટલા વિશાળ આયોજનમાં હું પ્રમુખસ્વામી મહારાજની એ સ્મૃતિઓને એમની આધ્યાત્મિક ઉપસ્થિતિઓને એક કાર્યકરના રૂપમાં મહેસૂસ કરી રહ્યો છું, તેમ વડાપ્રધાને ઉમેર્યું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter